
વલસાડ, 07 સપ્ટેમ્બર (હિ.સ.) : વલસાડની ઔરંગા નદી કિનારે આવેલી જેટી ખાતે ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે ચાલી રહેલી તૈયારીઓ અને રસ્તાની મરામત કામગીરીનું વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.
ગણેશોત્સવ દરમિયાન ગણપતિ મંડળોને વિસર્જન સમયે કોઈ અગવડતા ન પડે તે માટે સ્થળ પર જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે. આ અંગે વલસાડ નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચો દ્વારા ધારાસભ્ય સમક્ષ વિવિધ સમસ્યાઓ અને જરૂરી સુવિધાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી.
રજૂઆતોને ધ્યાનમાં રાખી ધારાસભ્ય ભરતભાઈ પટેલે જિલ્લા કલેક્ટર તથા વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરને વિસર્જન સ્થળે સુવિધા, સુરક્ષા અને વ્યવસ્થા સુચારૂ રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
આ સંદર્ભે સોમવારથી જેટી ખાતે કામગીરી શરૂ કરવામાં આવતા ધારાસભ્યએ સ્થળની મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
ગણેશ વિસર્જન દરમિયાન ગણપતિ મંડળો તથા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ભાર મૂકવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha