





પોરબંદર, 07 સપ્ટેમ્બર (હિ.સ.) : સુદામાની
નગરી પોરબંદરમાં યોજાઈ રહેલા શ્રી કૃષ્ણ સખા સુદામા લોકમેળા–2026 ના ચોથા દિવસે મહેર શક્તિ સેના દ્વારા
મહેર સમાજની સમૃદ્ધ પરંપરા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતું ભવ્ય સાંસ્કૃતિક
પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા
ઉપસ્થિત રહી મહેર સમાજની સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતા કાર્યક્રમમાં સહભાગી
બન્યા હતા અને મણિયારો રાસ રમ્યાં હતાં.
મહેર
સમાજના ભાઈઓ પરંપરાગત વેશભૂષા ધારણ કરી રેલી સ્વરૂપે લોકમેળાના સ્થળે પહોંચ્યા
હતા. ત્યારબાદ મેળા ગ્રાઉન્ડ ખાતે પોરબંદર પંથકની આગવી ઓળખ સમાન પરંપરાગત ‘મણિયારો
રાસ’ રજૂ કરવામાં આવ્યો હતો. પરંપરાગત પહેરવેશમાં મહેર સમાજના યુવાનો અને સમાજજનોએ
રજૂ કરેલા મણિયારા રાસે લોકમેળાના વાતાવરણને લોકસંસ્કૃતિના રંગે રંગી દીધું હતું.
મણિયારા
રાસની મનમોહક રજૂઆતથી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. આ પ્રસંગે મંત્રી અર્જુન
મોઢવાડિયા પણ મહેર શક્તિ સેના તથા મહેર સમાજના સભ્યો સાથે મણિયારા રાસમાં જોડાઈને
પરંપરાગત લોકનૃત્યની રમઝટમાં સહભાગી બન્યા હતા. મંત્રીની આ સહભાગિતાએ કાર્યક્રમને
વધુ જીવંત અને ઉત્સાહસભર બનાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya