
મહેસાણા, 7 સપ્ટેમ્બર (હિ.સ.)
લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શંકુજ વોટર પાર્કના નેચરલ થેરાપી સેન્ટરમાં લોકરમાંથી રૂ.5.98 લાખની કિંમતના સોનાના દાગીના અને ઘડિયાળ ચોરી થયાના ગુનાનો પોલીસે ભેદ ઉકેલી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતા માધવી ભવરલાલ લખોટીયા તા.25 ઓગસ્ટે નેચરલ થેરાપી સેન્ટરમાં આવ્યા હતા. તેમણે પોતાના વાઇટ ગોલ્ડની વીંટી, મંગલસૂત્ર, બ્રેસલેટ સહિતના દાગીના અને ઘડિયાળ લોકરમાં મૂક્યા હતા. જોકે, તા.3 સપ્ટેમ્બરે લોકર તપાસતા દાગીના અને ઘડિયાળ ગાયબ હોવાનું જણાતા લાંઘણજ પોલીસ સ્ટેશનમાં રૂ.5,98,500ની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ. ગેલોતની સૂચનાથી PSI પી.એસ. રાઠવા સહિતની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈ આસપાસના CCTV ફૂટેજ તપાસ્યા હતા. શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ દરમિયાન એક મહિલાના સામાનની તપાસ કરવામાં આવી હતી. મહિલાની બેગમાં ઇસ્ત્રી કરેલા કપડાં વચ્ચે પ્લાસ્ટિકની કોથળીમાં છુપાવેલા ચોરીના તમામ દાગીના અને ઘડિયાળ મળી આવ્યા હતા.
પોલીસે વાઇટ ગોલ્ડની હીરાજડિત વીંટી, ડાયમંડવાળું મંગલસૂત્ર, હીરાજડિત સોનાની વીંટી, સોનાનું બ્રેસલેટ, સાત પન્નાવાળી સોનાની વીંટી અને કાંડા ઘડિયાળ સહિત કુલ રૂ.5,98,500નો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કામગીરીમાં PSI પી.એસ. રાઠવા, ASI કીરીટકુમાર વિરસંગભાઈ, કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ભીખાજી અને નરેન્દ્રસિંહ કલ્યાણસિંહ જોડાયા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR