
ગાંધીનગર, 09 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રની શરૂઆત થઈ. વર્ષોથી ગૃહમાં વંદે માતરમ ગાવાની પરંપરા છે, ત્યારે આજે વંદે માતરમ શરૂ થતાં જ વિવાદ થઈ ગયો છે. સત્રના આરંભે વંદે માતરમ્ ગવાયું હતું, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ગીત દરમિયાન બેસી ગયા હતા.
ત્યાર બાદ મંત્રી પ્રવિણ માળીએ આ ઘટનાને માતૃભૂમિ અને રાષ્ટ્રગીતના અપમાન સમાન ગણાવીને કહ્યું કે ઇમરાન ખેડાવાલા જાણી જોઈને બેસી ગયા હતા કે ભૂલથી થયું તે અંગે સ્પષ્ટતા કરવી જોઈએ અને જો ભૂલથી થયું હોય તો માફી માંગવી જોઈએ.ભૂતકાળમાં વિધાનસભાના ગૃહમાં આવી ઘટના બની નથી અને આ મુદ્દે ગૃહમાં રજૂઆત કરાશે તથા સંસદીય પ્રણાલી મુજબ પગલાં લઈ શકાય છે.
ધારાસભ્ય મહેશ કસવાલાએ ઘટનાને દુઃખદ ગણાવી કહ્યું કે વિધાનસભા લોકશાહીમાં આસ્થાનું પ્રતીક છે અને વંદે માતરમનું અપમાન ગુજરાતની જનતાનું અપમાન છે. ભાજપના ધારાસભ્યો અધ્યક્ષને મળી રજૂઆત કરશે અને કોંગ્રેસે આ મામલે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ.
ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે, વંદે માતરમ ગાન વખતે હું ઉભો હતો. 1937માં મહાત્મા ગાંધી, સરદાર પટેલ સહિતના નેતાઓએ જે આમુખ નક્કી કર્યું હતું, તે ગવાયું ત્યારે હું ઉભો હતો. પરંતુ ઉમેરવામાં આવેલા આમુખનું ગાન થયું ત્યારે બેસી ગયો હતો.
ભાજપ મને ફરજ ન પાડી શકે અને મારે કોઈ પાસેથી દેશભક્તિનું સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. મારે કોઈને દેશભક્તિ બતાવવાની જરૂર નથી. સરકાર અને ભાજપ પાસે મુદ્દો ન હોવાથી મને ટાર્ગેટ કરે છે.
બીજા કોંગ્રેસના ધારાસભ્યો બેઠા કે નહીં તે મારો વિષય નથી. લોકસભા અને રાજ્યસભામાં આ અંગે બિલ રજૂ થયું છે. જ્યારે કેટલાક રાજકીય પક્ષો 1937માં નક્કી થયેલું ગીત જ ગાવાની વાત કરી રહ્યા છે. આ કોંગ્રેસનું નહીં પરંતુ મારું વ્યક્તિગત સ્ટેન્ડ છે. દેશ માટે મારા મનમાં પ્રેમ છે અને તે કોઈને સાબિત કરવાની જરૂર નથી.
સરદાર સાહેબ, ગાંધીજી કે બાબાસાહેબ કરતાં ભાજપના નેતાઓ મોટા નથી. વંદે માતરમ ગીતમાં પાછળથી શબ્દો ઉમેરવામાં આવ્યા છે.”
શોક પ્રસ્તાવ રજૂ થયા બાદ સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહ મુલત્વી રાખવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેથી અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહ મુલત્વી રાખવાની જાહેરાત કરી હતી. હવે 10 સપ્ટેમ્બરના બપોરે 12 વાગે ગૃહની કાર્યવાહી આગળ વધારાશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ