રાજકોટ/અમદાવાદ,20 એપ્રિલ (હિ.સ.) 10-રાજકોટ સંસદીય મત વિસ્તારમાં વહીવટી તંત્ર લોકશાહીના ઉત્સવમાં જન-જનને જોડી લોકશાહી મજબૂત બને, તે માટે અનેકવિધ
પગલાંઓ લઈ રહ્યું છે. જેના ભાગરૂપે સ્વીપ નોડલ ઓફીસર જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે મતદાન અંગે જાગૃતિ ફેલાવાઈ રહી છે.
જે અન્વયે 67- વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાં પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીના
દિશાનિર્દેશ મુજબ પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને ઘરના તમામ પાત્રતા ધરાવતા સભ્યો મતદાન કરે તે અંગે સમજૂત કરવામાં આવ્યા હતાં. તેમજ 74- જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં મદદનીશ ચૂંટણી અધિકારી જય ગોસ્વામીના સૂચનો પ્રમાણે ખાનગી ગેસ એજન્સી દ્વારા ગેસ સિલિન્ડર ઉપર અવસર લોકશાહીનો.લોગો ધરાવતા સ્ટીકર લગાવવામાં આવ્યા હતાં. જેથી, મહિલાઓને મત આપવા જવા માટે જાગૃત કરી શકાય.
વધુમાં, 72- જસદણ વિધાનસભા મતદાર વિભાગમાં પ્રાંત અધિકારી ગ્રીષ્માબેન રાઠવાના માર્ગદર્શન હેઠળ જસદણ તાલુકાના રાજાવડલા (જામ) ગામ ખાતે ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને મતદાનના મહત્વ સમજાવવાની સાથે પરિવારજનોને મતદાન કરાવવા પ્રેરણા આપવામાં આવી હતી. તેમજ વિંછીયા તાલુકાના ભડલી ગામ અને કંઢેવાળીયા ગામ ખાતે આયોજિત મતદાન જાગૃતિ કાર્યક્રમમાં મતદાન કરવા પ્રોત્સાહિત કરીને લોકશાહીના પર્વમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. તથા અચૂક મતદાન અંગેના શપથ લેવામાં આવ્યા હતાં.
હિન્દુસ્થાન સમાચાર/