લુણાવાડા, 20 એપ્રિલ(હિ. સ.). આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી - 2024નો સૌથી મોટો અવસર આવી રહ્યો છે. આગામી તારીખ 7 મેના રોજ ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટો પર મતદાન થશે. ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો ચૂંટણી પંચ દ્વારા સ્વીપના માધ્યમ મારફતે કરવામાં આવી રહ્યા છે ત્યારે મહીસાગર જીલ્લા શાળા સંચાલક મંડળે જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જીલ્લા કલેક્ટરશ્રીને પત્ર પાઠવી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાનમાં સહભાગી બનવા સંમતિ દર્શાવી છે.
આ અંગે મંડળના હોદ્દેદારોએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને મળી પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે મહીસાગર જીલ્લામાં આવેલી ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાના સંચાલકોનું મહીસાગર જીલ્લા શાળા સંચાલક મંડળ કાર્યરત છે. જેમાં જીલ્લાના
તમામ સંચાલકોની બેઠકમાં દરેક ગામમાં શાળાના ટ્રસ્ટી મંડળના સભ્યો દ્વારા મતદાર અંગે જાગૃતિ ફેલાવવા એકસૂરે સંમત થયા હતા. તેમજ સ્વીપ ઇવેન્ટ અંતર્ગત યોજાનાર કાર્યક્રમોમાં ભાગ લઈ મતદાન જાગૃતિના કાર્યક્રમોમાં સહભાગી થવા તેમજ શાળા સંચાલકો દ્વારા પોતે તથા પોતાના ટ્રસ્ટી મંડળના સભ્યો અને શાળાના કર્મચારીઓના માધ્યમથી સક્રિય રીતે મતદાન જાગૃતિ ફેલાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને આગામી 7 મી મેના રોજ અવશ્ય મતદાન કરી અને કરાવી લોકશાહી આ અવસરને સાર્થક કરવા ખાસ અપીલ મહીસાગર જીલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ એસ.કે.પટેલ, અધ્યક્ષ કનુભાઈ પી. પટેલ, મહામંત્રીઓ નરેન્દ્રસિંહ ડી.સિસોદીયા,ઋષિરાજ કે પંડયા તેમજ તમામ કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર/દિવ્યેશ/બિનોદ