નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, રાજકીય પક્ષોએ પૂરતા સંસાધનો વિના મફતનું વચન આપવાનું ટાળવું જોઈએ. તેમણે કહ્યું કે, જ્યારે પાર્ટીઓ મોટા વચનો આપે છે, ત્યારે તેમણે એ પણ જણાવવું જોઈએ કે, તેમને સંસાધનો ક્યાંથી મળશે. નાયડુએ કહ્યું કે, લોકોએ એવી પાર્ટીઓ પર પણ સવાલ ઉઠાવવો જોઈએ, જેમની પાસે કોઈ સંસાધનો નથી, પરંતુ તેઓ સત્તા મેળવવા માટે ખાલી વચનો આપે છે.
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિએ મંગળવારે નવી દિલ્હીમાં ત્યાગરાજ માર્ગ પરના તેમના નિવાસસ્થાને એક મીટ-એન્ડ-ગ્રીટ, ગેટ-ટુ-ગેધરમાં આ ટિપ્પણી કરી હતી. વાતચીતના આયોજકોનો આભાર માનતા નાયડુએ કહ્યું કે, તેઓ પદ્મ વિભૂષણથી સન્માનિત થવાથી નમ્ર અને સંતુષ્ટ અનુભવે છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર પ્રત્યેના મારા નમ્ર યોગદાનની આ માન્યતા નવા ઉત્સાહ સાથે સમાજની સેવા કરવાના મારા સંકલ્પને મજબૂત કરે છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં નાયડુને પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા.
નાયડુએ રાજકારણીઓમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની વૃત્તિની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, તે એટલું વ્યાપક બની ગયું છે કે કેટલીકવાર એક રાજકીય પક્ષમાંથી બીજા રાજકીય પક્ષમાં હિલચાલને કારણે તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે કે, કોઈ ચોક્કસ રાજકારણી કયા પક્ષનો છે. આ પ્રકારની પાર્ટી બાજી કરવી એ રાજકારણમાં બિનઆરોગ્યપ્રદ વલણની નિશાની છે. પોતાનું ઉદાહરણ ટાંકતા નાયડુએ કહ્યું કે, તેઓ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન તેમની પાર્ટીને વફાદાર રહ્યા અને ક્યારેય કોઈ અન્ય રાજકીય પક્ષમાં જોડાવાનું વિચાર્યું ન હતું. તેમણે કહ્યું કે. આ સ્થિતિ ત્યારે પણ હતી જ્યારે તેમની પાર્ટી ખૂબ જ નબળી સ્થિતિમાં હતી. નાયડુએ કહ્યું કે, આ વલણને રોકવા માટે પક્ષપલટા વિરોધી કાયદાને મજબૂત કરવાની જરૂર છે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ, દેશના યુવાનોને આગળ આવવા અને જાહેર જીવનમાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી હતી. તેમને વિકાસ અને સ્વસ્થ સમાજનો પાયાનો પથ્થર ગણાવતા નાયડુએ, ભારતના યુવક-યુવતીઓને પોતાની રીતે અને પોતાના સ્તરે સમાજની સેવા કરવામાં રસ લેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, સમાજની સેવા એ રાષ્ટ્રવાદ અને દેશભક્તિનો સાર છે અને તેનો અર્થ રાજકારણમાં જવાનો નથી.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / પવન / ડો. હિતેશ