રાજપીપલા/અમદાવાદ,29 એપ્રિલ (હિ.સ.) લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત સમગ્ર રાજ્યમાં મતદાનની ટકાવારી ઊંચી આવે તેવા ઉમદા આશય સાથે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સઘન કાર્યક્રમ અમલમાં મૂકાયો છે.
નર્મદા જિલ્લામાં 21-ઉટાઉદેપુર લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ 148 નાંદોદ વિધાનસભા અને 22 - ભરૂચ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ 149- દેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં આગામી 7 મેના રોજ મતદાન યોજાનાર છે.
નર્મદા જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્વેતા તેવતિયા, TIP નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.એમ. દોંગાના માર્ગદર્શનમાં તેમજ 22- ભરૂચ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ 149 દેડિયાપાડા વિધાનસભા સ્વીપ નોડલ તથા જિલ્લા સ્વીપ એક્ટિવિટી નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેની રાહબરી તથા જિલ્લા રમતગમત અધિકારી વિષ્ણુ વસાવાની ઉપસ્થિતિમાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત રાજપીપલા અને દેડિયાપાડા ખાતે બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નર્મદા જિલ્લાના રહેવાસીઓમાં મતદાન જાગૃતિ કેળવાય અને મતદાન પ્રક્રિયાથી સભાન બને તેવો હતો.
હિન્દુસ્થાન સમાચાર/