- કોંગ્રેસ એક નંબરની આદિવાસી વિરોધી પાર્ટી છે':અમિત શાહ
છોટાઉદેપુર/અમદાવાદ,04 મે (હિ.સ.) ગુજરાતમાં ત્રીજા ચરણમાં 7 મેના રોજ 25 સીટો ઉપર મતદાન યોજાશે. લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેને લઈને તમામ પક્ષો દ્વારા પ્રચાર પ્રસારનો છેલ્લો દોર ચાલી રહ્યો છે. ત્યારે આજે છોટાઉદેપુરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પહોંચ્યા છે અને સભાને સંબોધિત કરી હતી.આજે તેમણે છોટાઉદેપુરના બોડેલીમાં સંબોધન કર્યું હતું. તેમણે છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના પ્રચાર માટે સભા સંબોધીને મતદારોને રીઝવવાના પ્રયત્નો કર્યા. પ્રદીપસિંહ જાડેજા, ગોરધન ઝડફિયા, ,નારણ રાઠવા, રામસિંહ રાઠવા, ગીતાબેન રાઠવા તેમજ અન્ય ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કોગ્રેસને આદિવાસીવિરોધી પાર્ટી ગણાવીને અનામત મુદ્દે પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસ પાર્ટી રાહુલ બાબાના નેતૃત્વમાં ચૂંટણી લડે છે, અમેઠી છોડીને રાયબરેલી ગયા. રાહુલ બાબા પ્રોબ્લેમ સીટમાં નથી, પ્રોબ્લેમ તમારામાં છે. રાયબરેલીમાં પણ તમે પ્રચંડ બહુમતીથી હારવાના છો તમે ગમે ત્યાં ભાગો જનતા તમને શોધે છે.'કોંગ્રેસ એક નંબરની આદિવાસી વિરોધી પાર્ટી છે' અમિત શાહે સભામાં જણાવ્યું કે, તમે જશુભાઈને જે વોટ આપશો તે દિલ્હીમાં મોદીને વડાપ્રધાન બનાવવાનું કામ કરશે. નરેન્દ્ર મોદીએ ગુજરાતથી દેશ સુધી સુરક્ષા, સ્વાસ્થ્ય, સમૃદ્ધી, શિક્ષાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે.આ સાથે જ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આપણી સામે કોંગ્રેસ અને INDIA ગઠબંધન ચૂંટણી લડી રહ્યું છે, ત્યારે તે જીતવાના તો છે નહીં, પરંતુ ભગવાન ન કરે અને તે જીતી જાય તો છોટાઉદેપુરની જનતાને પુંછવા માંગુ છું કે, વડાપ્રધાન પ્રધાન કોણ બનશે. અમારો તો ચોખ્ખો હિસાબ છે કે, ભાજપ જીતશે એટલે મોદી સાહેબ વડાપ્રધાન બનશે. આ સાથે જ તેમણે કહ્યું કે અરે અકલના ઓથમિરો આ ભાગીદારી નથી, દેશ ચલાવવાનો છે.
મોદીએ 10 વર્ષની અંદર કરોડો ગરીબોના જીવનમાં અજવાળું પાથરવાનું કામ કર્યું છે. બાબા સાહેબ આંબેડકર બંધારણમાં લખીને ગયા હતા, આદિવાસીઓની જેટલી વસ્તી હોય તે પ્રમાણે બજેટમાં હિસ્સેદારી આપવી. ભારતનું બંધારણ આવ્યા પછી નરેન્દ્ર મોદીએ ગુજરાતના બજેટમાં 14% આદિવાસી વસ્તીને સમર્પીત કર્યા. એમના જમાનામાં આદિવાસી મંત્રાલય જ ન હતું. અટલજી 1999 વડાપ્રધાન બન્યા ત્યારે અટલ બિહારી વાજપેયીએ અલગ આદિજાતિ વિભાગ મંત્રાલય બનાવ્યું.
આનામત મામલે જણાવ્યું કે, હમણાં રાહુલબાબા એન્ડ કંપની કહે છે કે, મોદી વડાપ્રધાન બનશે તો અનામત જતી રહેશે. ભાજપે 400 પારનો નારો અનામત છીનવી લેવા માટે આપ્યો છે. અને રાહુલ બાબ કોઈ સલાહ કાર તો સારા રાખો, 2014માં ભાજપ પાસે બહુમતી હતી, 2019માં પણ બહુમતી હતી પરંતુ નરેન્દ્રભાઈએ SC,ST, OBCની અનામત હટાવવાનું કામ નથી કર્યું. શાહે ગેરેન્ટી આપતા કહ્યું કે, જ્યા સુધી ભાજપ સરકાર છે ત્યા સુધી અનામતને કોઈને હાથ લગાવવાનો કોઈને અધિકાર નથી. આ અધિકાર Sc, ST, OBC ભાઈનો છે, તેની પાસેથી ક્યારે છીનવામાં આવશે નહી.
હિન્દુસ્થાન સમાચાર/