પાટણ, 23 મે (હિ.સ.) પાટણમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સંચાલિત સંત શ્રી સદારામ કન્યા લાઇબ્રેરીનું લોકાર્પણ, 8 જૂનના રોજ થવાનું છે. આ લાઇબ્રેરીની ખાસ વિશેષતા એ છે કે, અહીં સમાજની દીકરીઓને નિઃશુલ્ક વાંચન સુવિધા પૂરી પાડવામાં આવશે, જયારે શહેરની અન્ય લાઇબ્રેરીઓમાં સામાન્ય રીતે ફી લેવામાં આવે છે.
આ લાઇબ્રેરીના ઘડીવખતે ખાસ જરૂરિયાત તરીકે ઉનાળાની તીવ્ર ગરમીમાં હવામાં ઠંડક માટે એસીની જરૂર જણાઈ હતી. આ બાબતે સમાજના આગેવાનો નવઘણજી અને મનોજભાઈએ વિનયસિંહ ઝાલા, જયદીપસિંહ ઠાકોર અને ટીનભા ઝાલા સાથે ચર્ચા કરતા, સમાજના દાતા મહેશભાઈ ઠાકોર (ખોડીયાર ખોરજ) એ તાત્કાલિક લાઇબ્રેરી માટે ત્રણ હેવી કેપેસિટીના એસી દાનમાં આપ્યા હતા.
આ લાઇબ્રેરી સમાજના દાતાઓના સહયોગથી નિર્માણ પામી છે અને તેનું મુખ્ય ઉદ્દેશ સમાજના યુવાનોને શિક્ષિત બનાવવો તથા સમાજની સમૃદ્ધિ માટે કામ કરવો છે. આ પ્રસંગે સમાજના આગેવાનોએ મહેશભાઈ ઠાકોરની દાનવીરતાની ખુલ્લી દિલથી પ્રશંસા કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર