પાટણ, 10 જૂન (હિ.સ.) : ગુજરાત રાજ્યમાં આગામી 26થી 28 જૂન, 2025 દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ સરકારી પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ રેસિડેન્સિયલ શાળાઓમાં ઉજવાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની બ્રિફિંગ બેઠક યોજાઈ હતી. તેમણે વિકસિત ગુજરાત માટે શિક્ષણના મહત્વ અને તેમાં લાવવાના સકારાત્મક પરિવર્તન અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ સહિત રાજ્યભરના અધિકારીઓ ઑનલાઇન જોડાયા હતા. શિક્ષણમંત્રી અને વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વિભિન્ન યોજનાઓ અને ભાવિ આયોજનની માહિતી આપી હતી.
પાટણ જિલ્લા સેવા સદનમાં યોજાયેલી બેઠકમાં કલેક્ટર તુષાર ભટ્ટે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવવા શાળાઓની મુલાકાત લેવાનું મહત્વ વ્યક્ત કર્યું હતું. સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પાટણ જિલ્લામાં યોજાનાર પ્રવેશોત્સવનું આયોજન વિગતવાર રજૂ કર્યું હતું.
આ બેઠકમાં દિલ્હી કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર