પાટણ, 20 જૂન (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 240 અનુસ્નાતક કોલેજોમાં કુલ 21,000 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા 19 જૂનથી શરૂ થઈ છે, જે 19 જુલાઈ સુધી ચાલશે. વિદ્યાર્થી 19 જૂનથી 1 જુલાઈ સુધી પ્રવેશ ફોર્મ ભરી શકશે, ત્યારબાદ 2-3 જુલાઈએ ચોઈસ ફીલિંગ અને સુધારાની તક આપવામાં આવશે. 4 જુલાઈ સુધી દસ્તાવેજોની ચકાસણી થશે.
પ્રવેશ પ્રક્રિયા છ તબક્કામાં પૂર્ણ થશે. 8 જુલાઈથી પાંચમો રાઉન્ડ, 11 જુલાઈએ છઠ્ઠો, 15 જુલાઈએ સાતમો અને 18 જુલાઈએ અંતિમ રાઉન્ડ યોજાશે. પ્રવેશ પ્રક્રિયાના દરેક તબક્કા માટે નિયમિત તારીખો જાહેર કરાઈ છે.
કુલપતિ કે.સી. પોરિયાએ જણાવ્યું હતું કે, યુજીસીના નિયમ મુજબ 170 દિવસનું શૈક્ષણિક કાર્ય ફરજિયાત છે. પ્રવેશ મળતાં જ કોલેજોને શૈક્ષણિક કાર્ય શરૂ કરવા સૂચના અપાશે. પ્રવેશ પ્રક્રિયા 15 દિવસ મોડેથી શરૂ થવાને કારણે આ વર્ષે શૈક્ષણિક કાર્યમાં પણ આશરે એક મહિનાનો વિલંબ થશે, જેને ધ્યાને લઈ રજાના દિવસોમાં પણ શિક્ષણકાર્ય ચલાવવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર