પાટણ, 20 જૂન (હિ.સ.)ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભચાભાઈ આહિરે સાતલપુર અને રાધનપુર તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતગણતરી દરમિયાન સીસીટીવી કેમેરાની ફરજિયાત વ્યવસ્થા માટે કલેક્ટરને રજૂઆત કરી છે. તેઓએ જણાવ્યું કે ભૂતકાળમાં આ વિસ્તારોમાં થયેલી મતગણતરી દરમિયાન અનેક ગેરરીતિઓ નોંધાઈ છે.
આહિરે દાવો કર્યો છે કે સત્તાધારી પક્ષના પદાધિકારીઓ કાઉન્ટિંગ ટેબલ પાસે રહીને પોતાના ઉમેદવારોને જીતાડવાનો પ્રયાસ કરે છે. ઘણા કિસ્સાઓમાં બેલેટ પેપર ગુમ થવાના તેમજ ઓછા મતોથી જીતતા ઉમેદવારોના મત ગાયબ થવાના બનાવો પણ નોંધાયા છે.
આવી ગેરરીતિઓ અટકાવવા માટે આહિરે માંગ કરી છે કે મતગણતરીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન દરેક કાઉન્ટિંગ ટેબલ પર CCTV કેમેરા લગાવવાની ફરજિયાત વ્યવસ્થા વહીવટી તંત્ર કરે. તેમણે એ પણ જણાવ્યું કે મતગણતરીના એજન્ટો સિવાય અન્ય કોઈ અનધિકૃત વ્યક્તિને કાઉન્ટિંગ ટેબલની આસપાસ ન જવા દેવામાં આવે અને આ માટે કડક સૂચનાઓ આપવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર