પાટણ, 20 જૂન (હિ.સ.)પાટણ નગરપાલિકાની સાપ્તાહિક સંકલન બેઠકમાં શહેરના વિકાસ અને આવનાર ચોમાસાની તૈયારીઓને લઈ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચોમાસા દરમિયાન જળભરાવ નિવારવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આનંદ સરોવરના પાણી ઉભરાવાની સમસ્યાને દુર કરવા પગલાં લેવામાં આવશે અને ચોમાસુ ખાડાઓ પૂરવા માટે રૂ. 10 લાખની ફાળવણી કરી મેટલ, માટી વગેરે સામગ્રી ખરીદવામાં આવી છે.
બેઠકમાં વર્ષ 2022-23 માટે મંજૂર થયેલા રૂ. 40 કરોડના વિકાસકામોનું રિવાઇઝ રિટેન્ડરિંગ કરવાની યોજના ઘડી છે. છીંડીયાથી બગવાડા અને પારેવા સર્કલથી જયવીરનગર સુધીના રસ્તાઓનું નવીનીકરણ થવાનું છે. સાથે જ, પાટણના પ્રથમ રેલ્વે નાળાથી આનંદ સરોવર સુધી રૂ. 85 લાખના ખર્ચે બોક્સ ડ્રેઇન નાખવામાં આવશે અને ગોલ્ડન ચોકડીથી નવજીવન સોસાયટી સુધી પાઇપલાઇન નાખી રસ્તો પહોળો કરાશે.
શહેરના જર્જરિત મકાનો દૂર કરવાના નિર્ણયો ઉપરાંત આવનાર જગન્નાથ રથયાત્રાના રૂટને પણ તૈયાર કરવાની ચર્ચા કરવામાં આવી છે. વીજ અને ફોન કંપનીઓને રસ્તાઓ ન બગાડવા માટે કેબલ નાખતી વખતે ખાસ ધ્યાન રાખવાની સૂચના અપાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર