પાટણ, 20 જૂન (હિ.સ.)પાટણ શહેરના માખણિયા પરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણીએ ભારે સમસ્યા ઉભી કરી છે. તળાવમાં ગટરનું પાણી ઠલવાતા તે ઓવરફ્લો થઈ ગયું છે, જેના કારણે મુખ્ય માર્ગ ધોવાઈ ગયો છે અને દૂષિત પાણી ખેડુતોના ખેતરોમાં ફરી વળ્યાં છે. વહેલી સવારે નગરપાલિકાનો ઘન કચરો લઈ જતો માર્ગ તૂટી પડ્યો છે.
સ્થાનિક ખેડૂત જયેશભાઈ પટેલે જણાવ્યું કે તળાવમાં ગટરનું પાણી ઘૂસતાં ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. દુર્ગંધયુક્ત અને પ્રદૂષિત પાણીના પ્રવાહથી પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરોમાં લાખોનો પાક નષ્ટ થયો છે, જેને કારણે તેઓ આર્થિક સંકટમાં આવી ગયા છે.
ખેડૂતો અને રહેવાસીઓએ વારંવાર નગરપાલિકા તંત્રને રજૂઆતો કરી છે, છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. નગરપાલિકાના અયોગ્ય આયોજનને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતો હવે તાત્કાલિક અને કઠોર કાર્યવાહી દ્વારા સમસ્યાનો નિકાલ લાવવાની માંગ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર