પાટણ, 21 જૂન (હિ.સ.)પાટણના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા શ્રી જગન્નાથ મંદિર ખાતે અષાઢી બીજની રથયાત્રા પૂર્વે, વિશેષ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે અગિયારસના દિવસે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી સમક્ષ આ ભવ્ય મનોરથ ધરાવવામાં આવ્યો હતો.
મંદિર ટ્રસ્ટ અને ભક્તોએ મળી 1143 કિલો ફળોનો મનોરથ ધરાવ્યો હતો, જેમાં 1000 કિલો કેરી, 100 કિલો કેળા અને 43 કિલો પપૈયા અને ખારેકનો સમાવેશ થયો હતો. ભગવાનને કેરીના ફળ જેવા મધુર આશીર્વાદ ભક્તોને મળે તે ભાવના સાથે આ અર્પણ કરાયું હતું.
મંદિરના પૂજારી કનુભાઈના જણાવ્યા મુજબ, રથયાત્રાને અનુલક્ષીને આયોજન કરાયેલા મનોરથના દર્શન માટે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ધાર્મિક ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર