પ્રધાનમંત્રીએ, શ્રી નારાયણ ગુરુ-મહાત્મા ગાંધી સંવાદના શતાબ્દી સમારોહમાં વક્તવ્ય આપ્યું
નવી દિલ્હી, 24 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે વિજ્ઞાન ભવનમાં આયોજિત શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી વચ્ચેના ઐતિહાસિક સંવાદના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે, તેમણે તાજેતરમાં સફળતાપૂર્વક પૂર્ણ થયેલા 'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેણે આતંકવાદ સામે ભારતની સ્પષ્ટ અને કઠોર નીતિને વિશ્વ સમક્ષ રજૂ કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમે બતાવી દીધું છે કે, હવે ભારતીયોનું લોહી વહેવડાવનારાઓ માટે વિશ્વની કોઈ પણ જગ્યા સુરક્ષિત નથી. આજનું ભારત પોતાના હિત અનુસાર દરેક જરૂરી પગલું ભરવામાં પાછળ રહેતું નથી. 1925માં શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધીની ઐતિહાસિક મુલાકાતને યાદ કરતાં તેમણે કહ્યું કે આ સંવાદ માત્ર ઇતિહાસની ઘટના નથી, પરંતુ આજે પણ તે સામાજિક સંવાદ અને રાષ્ટ્રીય એકતા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેમણે કહ્યું કે શ્રી નારાયણ ગુરુનું જીવન સમાનતા, એકતા અને આધ્યાત્મિક ઉત્થાનનું પ્રતીક રહ્યું છે. ભારતની વિશેષતા એ છે કે, જ્યારે પણ દેશ સંકટમાં હોય છે, ત્યારે કોઈ મહાન વ્યક્તિત્વ માર્ગદર્શન માટે આગળ આવે છે. શ્રી નારાયણ ગુરુ એક એવા સંત હતા, જેમણે સમાજને નવી દિશા આપી.
શિવગિરિ મઠ સાથેના પોતાના જૂના સંબંધોને યાદ કરતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, તેઓ પોતાને ભાગ્યશાળી માને છે કે આ મઠ હંમેશા તેમની સાથે ઉભો રહ્યો છે. 2013 ની કેદારનાથ દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તે મુશ્કેલ સમયમાં, ભારત સરકારને બદલે શિવગિરિ મઠે તેમનો સંપર્ક કર્યો હતો, જ્યારે તેઓ ફક્ત મુખ્યમંત્રી હતા. તેમણે 'એક પૃથ્વી, એક આરોગ્ય', 'એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડ' અને 'એક પરિવાર, એક ભવિષ્ય' જેવા વૈશ્વિક દ્રષ્ટિકોણનો ઉલ્લેખ કરીને ભારતના નેતૃત્વની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ભારત ટકાઉ વિકાસના લક્ષ્યમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે.
મહિલા સશક્તિકરણ તરફ કરવામાં આવેલા પ્રયાસોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે દીકરીઓ કોર્ટથી લઈને અવકાશ સુધી ભારતને ગૌરવ અપાવી રહી છે. અમે તે ક્ષેત્રોમાં પણ મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરી છે, જ્યાં પહેલા તેમના પ્રવેશ પર પ્રતિબંધ હતો.
પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માત્ર શિક્ષણને સમાવિષ્ટ અને આધુનિક બનાવી રહી નથી, પરંતુ માતૃભાષામાં અભ્યાસને પ્રોત્સાહન આપીને પછાત વર્ગોને પણ આગળ લાવી રહી છે. શતાબ્દી ઉજવણી પ્રસંગે મોદીએ કહ્યું કે, આ કાર્યક્રમ એક વૈચારિક મહાકુંભ છે, જે સામાજિક ન્યાય, એકતા અને આધ્યાત્મિક સંવાદિતાના મૂલ્યોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
આ ઐતિહાસિક સંવાદ, 12 માર્ચ 1925 ના રોજ શિવગિરી મઠ ખાતે મહાત્મા ગાંધી અને શ્રી નારાયણ ગુરુ વચ્ચે થયો હતો, જેમાં વૈકોમ સત્યાગ્રહ, ધર્માંતરણ, અસ્પૃશ્યતા નાબૂદી, દલિત ઉત્થાન અને મુક્તિ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. શ્રી નારાયણ ધર્મ સંઘમ ટ્રસ્ટ દ્વારા આયોજિત, આ કાર્યક્રમમાં દેશભરના આધ્યાત્મિક અને સામાજિક નેતાઓ ભાગ લઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ