સુરત , 24 જૂન (હિ.સ.)-સુરતમાં સતત મોસળધાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ તાત્કાલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ (SDRF)ની ટીમોને તૈનાત કરવામાં આવી છે.
SRP વાવ કેમ્પ ખાતે SDRFની એક ટીમ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે, જ્યારે બીજી ટીમને વરસાદથી અત્યંત અસરગ્રસ્ત નવસારી જિલ્લાના તરફ રવાના કરવામાં આવી છે, જ્યાં નદીઓ અને નાળાઓ ઓવરફ્લો થઈ રહ્યા છે.
હાલમાં 50 જેટલા અધિકારીઓ અને જવાનો બચાવ અને રાહત કામગીરીમાં સતત કાર્યરત છે. ટીમો પાસે ઇનફ્લેટેબલ બોટ, રબર બોટ, GPS, ફર્સ્ટ એઇડ કીટ અને જીવ બચાવના તમામ સાધનો ઉપલબ્ધ છે.
SDRFની ટીમો ખાસ કરીને જળમગ્ન વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવાનું કામ કરી રહી છે. છેલ્લા બે દિવસથી સતત રાઉન્ડ ધ ક્લોક રેસ્ક્યૂ અને રાહત કામગીરી ચાલી રહી છે.
જિલ્લા વહીવટ તંત્ર સાથે સંકલન કરીને SDRFની ટીમો લોકોની સુરક્ષા અને મદદ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે