જમ્મુ, નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.) સુરક્ષા દળોની સંયુક્ત ટીમે, શુક્રવારે ઉધમપુર જિલ્લાના બસંતગઢના જંગલ વિસ્તારમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ)ના ત્રણ આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવ્યું. ગુરુવારે સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક જૈશ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો.
જમ્મુ રેન્જના પોલીસ મહાનિરીક્ષક ભીમ સેન તુતીએ જણાવ્યું હતું કે, બસંતગઢના જંગલ વિસ્તારમાં ફસાયેલા ત્રણ આતંકવાદીઓને શોધવા માટે આજે સવારે ડ્રોન અને સ્નિફર ડોગ્સની મદદથી ઓપરેશન ફરી શરૂ કરવામાં આવ્યું છે. જૂથના બાકીના આતંકવાદીઓને ખતમ કરવા માટે ઘેરાબંધી વધુ મજબૂત બનાવવામાં આવી છે. ચાર આતંકવાદીઓના જૂથને એક વર્ષથી ટ્રેક કરવામાં આવી રહી હતી. તેમણે કહ્યું કે, ગુરુવારે સવારે બસંતગઢના દૂરસ્થ બિહાલી વિસ્તારમાં સેના અને પોલીસની સંયુક્ત સર્ચ ટીમે તેમનો સામનો કર્યો. ચાર આતંકવાદીઓ કરુર નાલા નજીક છુપાયેલા મળી આવ્યા હતા અને આર્મી પેરા કમાન્ડોની આગેવાની હેઠળની સંયુક્ત સર્ચ પાર્ટી દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હૈદર તરીકે થઈ છે, જેનું કોડનેમ પાકિસ્તાનનો મૌલવી છે.
તેમણે કહ્યું કે, ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (ઓજીડબ્લ્યુ) ની મદદથી, આ આતંકવાદીઓ જંગલો અને કુદરતી ગુફાઓનો ઉપયોગ કરીને છુપાઈને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જતા રહ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન આતંકવાદીઓને ખોરાક અને આશ્રય પૂરો પાડવા બદલ પાંચ ઓજીડબ્લ્યુ ની ધરપકડ કરવામાં આવી છે. એવું પણ માનવામાં આવે છે કે, ઘણા વર્ષો પછી પાકિસ્તાનથી પરત ફરેલો એક સ્થાનિક આતંકવાદી આતંકવાદીઓને સક્રિય રીતે ટેકો આપી રહ્યો છે.
બસંતગઢ પાકિસ્તાની આતંકવાદીઓના પરંપરાગત ઘૂસણખોરી માર્ગ પર સ્થિત છે, જે કઠુઆ ખાતે આંતરરાષ્ટ્રીય સરહદથી પ્રવેશ કરે છે અને જમ્મુ વિભાગના ડોડા અને કિશ્તવાડ જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાંથી પસાર થાય છે અને આગળ કાશ્મીર ખીણમાં પ્રવેશ કરે છે.
હિન્દુસ્થાન સમાચાર/બલવાન સિંહ/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ