પાટણ, 27 જૂન (હિ.સ.)પાટણ શહેરના મોતીશા દરવાજા બહાર આવેલ ખોડિયાર માતાજી મંદિરના 76મા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે માતાજીની પાલખીયાત્રા ભવ્ય રીતે નિકળી હતી.
પાલખીમાં પધરામણીના યજમાન તરીકે પટેલ પ્રકાશકુમાર હીરાલાલે સેવા આપી હતી, જ્યારે પાલખીના પ્રથમ છેડે રમેશભાઈ ભગવાનભાઈ પટેલ અને બીજા છેડે પરેશ રમેશભાઈ હતા. હવનના યજમાન તરીકે અંકિત હીરાભાઈ પટેલે સેવા બજાવી હતી.
પાલખીયાત્રા મંદિર પરિસરેથી શરૂ થઈ હતી અને બળીયાપાડા, લોટેશ્વર મહાદેવ, દોશીવટ, ત્રણ દરવાજા, રતનપોળ અને ભદ્ર વિસ્તાર થઈને ફરીથી મોતીશા દરવાજા પરથી મંદિરે પરત ફરી હતી. યાત્રામાં અનેક ભક્તો જોડાયા હતા અને પૂરો વિસ્તાર ભક્તિભાવથી ગરકાવ થયો હતો.
યાત્રા પૂર્ણ થયા બાદ મંદિરમાં ખોડિયાર માતાજીનો વિશેષ હવન યોજાયો હતો. આ પવિત્ર પ્રસંગે શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર