પાટણ, 28 જૂન (હિ.સ.)પાટણ શહેરના છીંડિયા દરવાજા વિસ્તારના 46 વર્ષીય પરેશભાઈ શાંતિભાઈ ઠાકોર, છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતા. તેઓ કોઈને કહ્યા વિના ઘરેથી નીકળી ગયા હતા અને પરત ન આવતા તેમના ભાઈ ઉમેશભાઈ ઠાકોરે, પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી હતી.
આજે સવારે વેરાઈ ચકલા વિસ્તારમાં પંજાબ બેંક સામે આવેલી લાટીની ખુલ્લી જગ્યામાં બંધ પડેલા હીરાના કારખાનાના પાણીના હોજમાં એક અજાણ્યો મૃતદેહ મળી આવ્યો હતો. એક વ્યક્તિએ આની જાણ પાટણ એ ડિવિઝન પોલીસને કરતા, પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ગોપાલસિંહ રાજપૂત અને સેવાભાવી યુવકોની મદદથી મૃતદેહને હોજમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તપાસમાં મૃતકની ઓળખ, ત્રણ દિવસથી ગુમ થયેલા પરેશભાઈ ઠાકોર તરીકે થઇ હતી. પોલીસ દ્વારા વાલી વારસોને જાણ કરી, પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. ઘટના અંગે ગુનો નોંધીને વધુ તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર