પાટણ, 28 જૂન (હિ.સ.) : પાટણની 135 વર્ષ જૂની શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલયે વિદ્યાર્થીઓ માટે એક સરાહનીય શૈક્ષણિક પહેલ હાથ ધરી છે. પુસ્તકાલય દ્વારા પાટણ તાલુકાની 102 સરકારી શાળાઓમાં ધોરણ 1માં અભ્યાસ કરતા 2000થી વધુ વિદ્યાર્થીઓને 'પહેલું પગલું દેશી હિસાબ' નામનું ઉપયોગી પુસ્તક ભેટ રૂપે અપાશે, જે ધોરણ 1થી 4 સુધીના બાળકો માટે ફાયદાકારક છે.
આ કાર્યક્રમનો પ્રારંભ ખોડીયાર પરા પ્રાથમિક શાળામાંથી થયો છે. પુસ્તક વિતરણ કાર્ય શ્રી પ્રકાશભાઈ ચીમનલાલ રાવલ અને શ્રીમતી જ્યોત્સનાબેન હેમંતકુમાર દવેના સૌજન્યથી શક્ય બન્યું છે.
આ પ્રસંગે રાજ્યના મંત્રી બળવંતસિંહ રાજપુત, કે.સી. પટેલ, મકવાણા સાહેબ અને પાટણ નગરપાલિકાની પ્રમુખ હિરલબેન પરમાર હાજર રહ્યા હતા. સાથે જ લાઇબ્રેરીના પ્રમુખ ડૉ. શૈલેષ બી. સોમપુરા, કાર્યક્રમના સંયોજક કમલેશભાઈ સ્વામી અને અન્ય પદાધિકારીઓએ પણ હાજરી આપી હતી.
લાઇબ્રેરી દ્વારા ચાલુ વર્ષે બે લાખ રૂપિયાથી વધુની કિંમતના પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે. શાળાઓને જણાવવામાં આવ્યું છે કે, તેઓ પુસ્તક મેળવવા લાઇબ્રેરીના પ્રમુખ અથવા સંયોજકનો સંપર્ક કરે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર