કૃષિ વિભાગના અધિકારીઓ તથા ખેડૂત હિત માટે કાર્યરત સૌ કોઈને પ્રાકૃતિક ખેતી પદ્ધતિને મિશનની માફક અપનાવવા રાજ્યપાલનું આહ્વાન
ગાંધીનગર, 28 જૂન (હિ.સ.) : કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિકારીઓ અને તમામ કર્મચારીઓ તથા ખેડૂત હિત માટે કાર્યરત સૌ કોઈને પ્રાકૃતિક ખેતી પદ્ધતિને મિશનની માફક અપનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આહ્વાન કર્યું હતું. રાજભવનમાં આયોજિત પ્રાકૃતિક કૃષિની રાજ્ય
પ્રાકૃતિક કૃષિની રાજ્ય સ્તરીય સમીક્ષા બેઠક


પ્રાકૃતિક કૃષિની રાજ્ય સ્તરીય સમીક્ષા બેઠક


ગાંધીનગર, 28 જૂન (હિ.સ.) : કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિકારીઓ અને તમામ કર્મચારીઓ તથા ખેડૂત હિત માટે કાર્યરત સૌ કોઈને પ્રાકૃતિક ખેતી પદ્ધતિને મિશનની માફક અપનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આહ્વાન કર્યું હતું. રાજભવનમાં આયોજિત પ્રાકૃતિક કૃષિની રાજ્ય સ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, ખેડૂતો પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો- બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, વાપ્સા-આચ્છાદન અને એક સાથે અનેક પાક પદ્ધતિ અપનાવીને વિધિવત ખેતી કરે તો રાસાયણિક ખેતી પદ્ધતિ કરતાં પણ વધુ ઉત્પાદન થશે. એટલું જ નહીં, ઉત્પાદન ખર્ચ ઘટશે. ઉત્પાદનની ગુણવત્તા ખૂબ સારી થશે અને ઉપજનું મૂલ્ય પણ વધારે મળશે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ આ દેશની આવશ્યકતા છે. વર્તમાન સમયની માંગ છે અને ભાવિ પેઢીની જરૂરિયાત છે.

રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રતિમાસ બેઠક કરીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની પ્રગતિની સમીક્ષા કરે છે. રાજભવનમાં આજે આયોજિત સમીક્ષા બેઠકમાં કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓએ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે તેમની યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા સંશોધનોના અહેવાલો રજૂ કર્યા હતા. રાસાયણિક ખેતી પદ્ધતિની તુલનામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિના ઘણા સારા પરિણામો મળ્યા છે. આ અંગે પ્રસન્નતા અને સંતોષ વ્યક્ત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી, હાલોલ તથા આણંદ, દાંતીવાડા, જુનાગઢ અને નવસારી કૃષિ યુનિવર્સિટીની લગન, મહેનત, નિષ્ઠા અને પરિશ્રમથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિની પ્રમાણિકતા પુરવાર થઈ છે. આ સંશોધનો અને તેના હકારાત્મક પરિણામો જ પ્રાકૃતિક ખેતીને આગળ વધારશે.

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવાના કાર્યને 'પુણ્ય કાર્ય' ગણાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી - નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક ફાર્મિંગ વચ્ચેના ભેદને ખેડૂતો સમક્ષ વધુ સ્પષ્ટ કરવાની આવશ્યકતા છે. ગુજરાતના પ્રત્યેક ગામમાં પ્રાકૃતિક ખેતીની પંચસ્તરીય પદ્ધતિના મોડેલ ફાર્મ બનાવવાની આવશ્યકતા છે. ખેડૂતો નજરે નિહાળશે તો નિ:સંકોચ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે. આ ઉપરાંત, રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ ઉભા કરી વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃત થાય તેવા પ્રયાસ કરવા રાજ્યપાલએ જણાવ્યું હતું. તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને લગનથી, જનૂનપૂર્વક કામ કરવા આહ્વાન કર્યું હતું.

ડાંગ જિલ્લો રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સ ફ્રી જીલ્લો છે. ડાંગમાં ખેડૂતો ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ડાંગ જિલ્લાની જેમ જ રાજ્યના વધુ આદિજાતિ વસ્તી ધરાવતા અન્ય જિલ્લાઓમાં પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવા મિશન મોડ પર કામ કરવા અનુરોધ કર્યો હતો.

નોંધનીય છે કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ત્રણ ગ્રામપંચાયત દીઠ એક એવા કુલ 4,890 ક્લસ્ટરની રચના કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવા માટે ક્લસ્ટર દીઠ 2 વ્યક્તિઓ; પ્રાકૃતિક કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સનની નિમણૂંક કરવામાં આવી છે. હાલ, નિમણૂંક પામેલા 9,491 પ્રાકૃતિક કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન પૈકી 8,660 ની તાલીમ પણ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યમાં હાલ 6,031 પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ કાર્યરત છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો સરળતાથી તેમના ઉત્પાદન વેચી શકે તે માટે બનાવવામાં આવેલા માર્કેટમાં એપ્રિલ અને મે 2025, આ બે મહિના દરમિયાન રૂપિયા 7.77 કરોડથી વધુના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ થયું છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગઈકાલે મધ્યપ્રદેશના જબલપુર વિસ્તારમાં હતા. તે સંદર્ભે વાત કરતાં તેમણે કહ્યું કે, જબલપુરમાં યોજાયેલા પ્રાકૃતિક કૃષિ ચોપાલ કાર્યક્રમમાં મને જાણવા મળ્યું કે, મધ્યપ્રદેશના જે વિસ્તારોમાં મગની ખેતી થાય છે ત્યાં પેસ્ટીસાઈડ્સનો વધુ પડતો ઉપયોગ થાય છે તેવા વિસ્તારના તમામ ગામડાઓમાં કેન્સરના દર્દીઓ છે. આજે લોકો કેન્સર, ડાયાબિટીસ, હાર્ટએટેક જેવી જીવલેણ અને ગંભીર બીમારીઓના ભોગ બની રહ્યા છે. નાના બાળકોને પણ હાર્ટએટેક આવી રહ્યા છે. આ બધું યુરિયા, ડીએપી જેવા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અંધાધુંધ ઉપયોગનું પરિણામ છે.

આ બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા, સંયુક્ત સચિવ પી. ડી. પલસાણા, ડેપ્યુટી રજીસ્ટ્રાર પ્રતીક ઉપાધ્યાય, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. કે. ટીંબડીયા, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી.ચોવટીયા, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડૉ. આર. એમ. ચૌહાણ, ગુજરાત બીજ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ રબારી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સી.એમ. પટેલ, આત્મા સમેતિના ડાયરેક્ટર સંકેત જોશી, નવસારી કૃષિ યુનિવર્સિટીના ડાયરેક્ટર ડૉ. હેમંત શર્મા, નોડલ ઓફિસર ડૉ. લલિત મહાત્મા તથા કૃષિ, બાગાયત, પશુપાલન અને આત્મા વિભાગના અધિકારીઓ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande