મોડાસા,
5 જૂન (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં વિજયનગરના કોડિયાવાડા પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ખાતે વિશ્વ કલ્યાણ સોસાયટી અને આત્મવલ્લભ બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં કુલ ૧૯ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યુ. રક્તદાન પ્રત્યે ગ્રામ્ય કક્ષાએ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રક્તદાતાઓએ માનવ જીવનનું પુણ્ય કર્મ રૂપ રકતદાન કરી મનુષ્ય ધર્મની જરૂરી ફરજ બજાવી હતી. અતિ જોખમી સગર્ભા માતાઓ અને જરુરતમંદને તાત્કાલિક લોહી મળી રહે તેવા ઉમદા હેતુસર આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં આરોગ્ય ટીમ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ