પાટણ, 5 જૂન (હિ.સ.) : આજ રોજ પાટણ જિલ્લાના રાધનપુર નજીક સવારે 8.10 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.9 માપવામાં આવી હતી. તીવ્રતા ઓછી હોવાના કારણે મોટાભાગના સ્થાનિક લોકો આ આંચકાથી અજાણ રહ્યા હતા, જોકે બાદમાં લોકોને જાણ થતાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો.
ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાનની માહિતી નથી. જોકે, છેલ્લાં કેટલાય સમયથી આ વિસ્તારમાં નાના-મોટા ભૂકંપના આંચકા સતત આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં ચિંતા વધી રહી છે.
સિસ્મોલોજી વિભાગ દ્વારા પાટણ અને આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભીય હલચલ પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી આગળ કોઈ મોટા જોખમથી બચી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર