પાટણ, 5 જૂન (હિ.સ.)પાટણ નગરપાલિકાએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરમાં આવેલી જર્જરિત બિલ્ડિંગોની સલામતી માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પાલિકા હસ્તકની વાદી સોસાયટી, પાલિકા બજાર, પશુ ભવન બિલ્ડિંગ અને અન્ય બે બિલ્ડિંગોના માલિકોને સમારકામ માટે નોટિસ આપવામાં આવી છે.
પાલિકા તંત્રે અગાઉ પણ જર્જરિત બિલ્ડિંગોમાં વેપાર કરતા માલિકોને સમારકામ માટે નોટિસ પાઠવી હતી, પરંતુ તેમ છતાં બિલ્ડિંગોમાં જરૂરી રિપેરિંગ કરાવાયું ન હતું. હવે ફરીથી નોટિસ આપી સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
પાલિકાના ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલે જણાવ્યું કે, પાલિકા દ્વારા જર્જરિત દુકાનોનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. નોટિસ પછી પણ જો વેપારીઓ રિપેરિંગ નહીં કરાવે તો તેમની દુકાનો સીલ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર