ગાંધીનગર, 5 જૂન (હિ.સ.) : જાહેર વહીવટમાં પારદર્શિતા તથા જવાબ દેહિતા આવે તેવા ઉમદા આશયથી અમલમાં મૂકાયેલ માહિતી આધિકાર અધિનિયમ-2005 ના અસરકાર, સૂચારુ અમલ માટે ગુજરાત માહિતી આયોગે વિધાનસભા સમક્ષ રજુ કરેલ વર્ષ – 2023- 24 વાર્ષિક વહીવટી અહેવાલથી રાજ્ય સરકારને કેટલીક ભલામણો કરી હતી આ ભલામણોનો સ્વીકાર કરી રાજ્ય સરકારે તા. 13/05/2025 ના પરિપત્ર થી નીચેની સૂચનાઓ બહાર પાડેલ છે.
1. સરકારી રેકર્ડને યથાયોગ્ય રીતે વર્ગીકૃત કરીને તેની અનુક્રમણિકા સાથે જાળવણી કરી તેને યોગ્ય રીતે વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવું.
2. પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે આપવી.
3. ઇ-મેઇલથી/ઓનલાઇન માહિતી માંગવામાં આવે ત્યારે ફોટો પાડીને માહિતી મોકલી આપવી, ત્યારબાદ તેને તે માહિતી ભૌતિક સ્વરૂપે મોકલી આપવાની રહેશે નહીં.
4. અરજદારને રેકર્ડના સ્વનિરીક્ષણ માટે બોલાવવામાં આવે ત્યારે માત્ર આપવાપાત્ર માહિતીનો ફોટો પાડવાની તથા પોર્ટેબલ સ્ટોરેઝ ડીવાઇઝમાં લઇ જવાની મંજૂરી આપવી, પછી ત્યારબાદ તે માહિતીને ભૌતિક સ્વરૂપે મોકલી આપવાની રહેશે નહીં.
નમૂના-ક ની અરજી, જાહેર માહિતી અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલ વિગતો તથા પ્રથમ અપીલની વિગતો ધ્યાને લઇને પ્રથમ અપીલનો વિગતદર્શક હુકમ (Speaking Order) કરવામાં આવે તથા તે હુકમનું જાહેર માહિતી અધિકારી દ્વારા પાલન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા સર્વે પ્રથમ અપીલ અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવેલ છે.
માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ નો લોકોને લધુત્તમ ઉપયોગ કરવો પડે તે માટે, માહિતી અધિકાર અધિનિયમ- 2005 ની કલમ 4 (1) (ખ) માં જણાવેલ પ્રત્યેક જાહેરસત્તામંડળે સ્વયંપ્રસિધ્ધ કરવાની માહિતી પ્રોએકટીવ ડિસ્ક્લોઝર (PAD), સામાન્ય વહીવટ વિભાગના તા.01/05/2009, તા. 17/07/2019 ની સૂચનાઓ મુજબ અધ્યતન કરવા સર્વે જાહેર સત્તામંડળોને સૂચના આપવામાં આવેલ છે.
પ્રોએકટીવ ડિસ્ક્લોઝર (PAD), નાગરિકોને વિનામૂલ્યે અથવા ઠરાવવામાં આવે તે કિમંતે અથવા છપામણી ખર્ચની કિમંતે પૂરા પાડવા સૂચના આપવામાં આવેલ છે. આ માહિતીમાં અરજદારો દ્વારા વારંવાર માંગવામાં આવતી માહિતીનો પણ સમાવેશ કરવાનું જણાવવામાં આવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ અને દબાણ સંદર્ભે કરેલ કાર્યવાહીના રેકર્ડ, આપવામાં આવતી વિવિધ પરમીટ, લાયસન્સ, પરવાનગી, અધિકૃતિઓની મંજૂરીની વિગતો સ્વયં પ્રસિધ્ધ કરવામાં આવે. આ ઉપરાંત, આ માટે નાગરિક / અરજદાર દ્વારા અરજી કરવામાં આવ્યા બાદ તેઓની અરજી પરત્વે થતી પ્રગતિથી નાગરિક વાકેફ રહી શકે તે હેતુસર, મંજૂરીના પ્રત્યેક તબક્કે નાગરિક/ અરજદારને મેસેજ / ઇ-મેઇલથી આપોઆપ જાણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા અંગે સર્વે જાહેરસત્તામંડળોને સુચના આપવામાં આવેલ છે.
માહિતી અધિકાર અધિનિયમ 2005 ના અમલમાં આમૂલ પરિવર્તન લાવતી ક્રાંતિકારી સૂચનાઓ પ્રસિધ્ધ કરવા માટે ગુજરાત માહિતી આયોગ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ