ભુજ - કચ્છ, 31 જુલાઈ (હિ.સ.) : ગાંધીધામના જોડિયા નગર આદિપુરના રહેણાક વિસ્તારમાં ગેરકાયદે કરાયેલા વ્યાવસાયિક બાંધકામ મુદ્દે એસ.આર.સી. દ્વારા એક સાથે 61 મિલકત ધારકોની લીઝ રદ કરવામાં આવતા સંકુલમાં દોડધામ મચી ગઇ છે. જોકે, આ મામલે દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ દ્વારા રૂક જાઓનો આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ, જેમના પ્લોટોની લીઝ રદ થઈ છે તે પ્લોટધારકોએ એસ.આર.સી. ખાતે રજૂઆત કરીને આ નોટિસ પરત ખેંચવા માંગ કરી છે.
છ મહિનામાં લીઝ જમા કરાવવા તાકીદ
ભારત પાકિસ્તાનના ભાગલા બાદની ગાંધીધામ – આદિપુરની વસાહત સંસ્થા સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન (એસ.આર.સી.)ના આ પગલાંના કારણે ધંધા રોજગાર ઉપર આફત મંડરાઈ છે. ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એસ.આર.સી. દ્વારા છ મહિનામાં લીઝ જમા કરાવવા માટેની તાકીદ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. દરમિયાન, 61 પ્લોટની લીઝ રદ થઈ છે તે પ્લોટધારકોએ એસ.આર.સી. ચેરમેન પ્રેમ લાલવાણી સમક્ષ રૂબરૂમાં રજૂઆત કરી હતી અને લીઝની નોટિસ પરત લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમગ્ર ગાંધીધામ આદિપુર માટે યોગ્ય નિર્ણય લઈ તમામ સામે સમાન કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
ત્રણ દિવસમાં જવાબ આપવા પ્લોટધારકોની માગણી
આ રજૂઆત મામલે ત્રણ દિવસમાં જવાબ આપવા પીડિત પ્લોટધારકોએ માંગ કરી છે. દરમ્યાન જે પ્લોટોની લીઝ રદ થઈ તે પૈકી ત્રણથી ચાર પ્લોટધારકે કોમર્શિયલ ગતિવિધિ બંધ કરીને લીઝ પુન: મંજૂર કરવા માટે એસ.આર.સી.માં અરજી કરી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA