- સહકાર મંત્રાલયની સ્થાપનાથી ગ્રામીણ અર્થતંત્રને નવું જોમ: પશુપાલકોની આવકમાં થયો નોંધપાત્ર વધારો: મંડળીના સંચાલક સાટીયા પ્રભુભાઈ
- સહકારથી સમૃદ્ધિ: સુરેન્દ્રનગરની સહકારી સંસ્થાઓ દ્વારા PM મોદીનો હૃદયપૂર્વકનો આભાર
સુરેન્દ્રનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.): સુરેન્દ્રનગર દૂધ સંઘ અને કો-ઓપરેટિવ બેંક દ્વારા કુલ 2.5 લાખ પોસ્ટકાર્ડ લખવાનો લક્ષ્યાંક સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એક વિશેષ પોસ્ટકાર્ડ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓ ઉત્સાહભેર જોડાઈ રહી છે.
આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાના ભાગરૂપે, ચુડા તાલુકાની ખાંડીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ પણ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યા છે.
મંડળીના સંચાલક સાટીયા પ્રભુભાઈએ આભાર વ્યક્ત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલયની સ્થાપના થવાથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી પ્રાપ્ત થઈ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સહકારી ક્ષેત્ર, ખાસ કરીને પશુપાલન, નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે, જેનાથી લાખો પશુપાલકોને આર્થિક લાભો થયા છે. આ પરિવર્તનકારી નિર્ણયના ફળ સ્વરૂપે, આજે દૂધના ભાવોમાં વધારો થયો છે અને પશુપાલકોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. મંત્રાલયની રચના બાદ પશુપાલકોને વિવિધ યોજનાઓ અંતર્ગત સબસીડી પણ મળી રહી છે. આ નિર્ણયો અને નીતિઓએ પશુપાલકોને આર્થિક રીતે સશક્ત બનાવ્યા છે, જેના પરિણામે ગ્રામીણ અર્થતંત્રને નવું જોમ અને ગતિ પ્રાપ્ત થઈ છે. પોસ્ટકાર્ડના માધ્યમથી સભાસદો તેમના 'દિલની વાત' વડાપ્રધાનશ્રીને પહોંચાડી આભાર વ્યક્ત કરી રહ્યા છે.
આ પોસ્ટકાર્ડ ઝુંબેશ દ્વારા સભાસદોએ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ લેવાયેલા મુખ્ય નિર્ણયો બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. સહકાર મંત્રાલયની સ્થાપના ઉપરાંત, સહકાર ક્ષેત્રમાં લેવાયેલી નવીન પહેલો, GST સુધારાઓ અને સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપવા બદલ પણ સભાસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. આ પહેલોએ ગ્રામીણ અર્થતંત્ર અને પશુપાલકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાની સહકારી સંસ્થાઓ આ અભિયાનમાં મોટા પાયે ભાગ લઈ રહી છે. સુરેન્દ્રનગર દૂધ ઉત્પાદક સંઘ દ્વારા કુલ 1 લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવશે. આ ઉપરાંત, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક સહિત અન્ય સેવા મંડળીઓ દ્વારા પણ 1.5 લાખ પોસ્ટકાર્ડ લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ સામૂહિક ઝુંબેશ સહકાર ક્ષેત્રના લોકોમાં સરકાર પ્રત્યેની સકારાત્મક ભાવનાને દર્શાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ