
પાટણ, 31 મે (હિ.સ.)સાંતલપુરમાં ચૂંટણી દરમિયાન વોટ ન આપવાની જૂની અદાવત રાખી પિતા-પુત્ર પર હુમલો કરાયો હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે દિપકસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ ગજુભા વર્ધાજી જાડેજા અને શક્તિસિંહ પ્રવિણસિંહ જાડેજા વિરુદ્ધ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, 29 મેના રોજ સાંજે ગજુભાએ દિપકસિંહના પિતા ઘનશ્યામસિંહને રસ્તામાં રોકી ‘તમે મારા ભત્રીજાને ચૂંટણીમાં વોટ કેમ ન આપ્યો?’ કહી ગાળો આપી ધોકાથી માર માર્યો હતો. પિતાને બચાવવા દિપકસિંહ વચ્ચે પડતા ગજુભાએ પોતાના ભત્રીજા શક્તિસિંહને ફોન કરી બોલાવ્યો હતો.
શક્તિસિંહ લોખંડની ટામી લઈને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બંને આરોપીઓએ દિપકસિંહને પકડી રાખી તેમના માથામાં ટામી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
ઈજાગ્રસ્ત દિપકસિંહને પહેલા સાંતલપુર સરકારી હોસ્પિટલ અને બાદમાં ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમના માથામાં ત્રણ ટાંકા લેવાયા હતા. પોલીસે બી.એન.એસ.ની કલમ 118(1), 115(2), 296(બી), 351(3), 54 તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ