

પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)પાટણના સાંડેસરપાટી, બકરાતપુરા અને રાજપુર ગામના ખેડૂતોએ NH-68 રાધનપુર-પાટણ સેક્શનના નવા બાયપાસ એલાઇનમેન્ટ અને ડ્રાફ્ટ 3A નોટિફિકેશન સામે વિરોધ નોંધાવી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
ખેડૂતોના આક્ષેપ મુજબ, નવા એલાઇનમેન્ટને કારણે કિંમતી ખેતીની જમીનો સંપાદનમાં જઈ રહી છે. એલાઇનમેન્ટમાં ફેરફારથી, ચોક્કસ બિલ્ડરો અને રાજકીય નેતાઓને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવી તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે.
ખેડૂતોએ જણાવ્યું કે, સાંડેસરપાટી વિસ્તારમાં જમીનની બજાર કિંમત અને સરકારી જંત્રીના ભાવમાં મોટો તફાવત છે. સાથે જ, આગામી ટી.પી. યોજના હેઠળ જમીનમાં 40 ટકા સુધીની કપાતની શક્યતા હોવાથી ખેડૂતો પર વધારાનો આર્થિક બોજ આવી શકે છે.
બકરાતપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનામાં જમીનના ભાવમાં થયેલા અસામાન્ય વધારા અંગે પણ ખેડૂતોએ શંકા વ્યક્ત કરી છે. ઓછી કિંમતના દસ્તાવેજો દ્વારા જમીન ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી તપાસની માંગ કરાઈ છે.
ખેડૂતોની માંગ છે કે, 3A નોટિફિકેશન રદ કરી એલાઇનમેન્ટની તટસ્થ ટેકનિકલ તપાસ કરવામાં આવે. તેમજ ખેડૂતોને ઓછું નુકસાન થાય તે માટે સરકારી પડતર અથવા ઓછી કિંમતવાળી જમીનમાંથી બાયપાસ પસાર કરવાનો વિકલ્પ શોધવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ