

પાટણ, 28 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના નિદ્રોડા ગામે સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જયંતી નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન હેઠળ ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં આગમન થયેલી યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રામાં સર્વ સમાજના ભાઈઓ-બહેનો તથા મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.
ગુરુ રવિદાસજી મહારાજના સમરસતા, સમાનતા અને માનવતાના વિચારોને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કળશ યાત્રા સામાજિક એકતા, સૌહાર્દ અને ભાઈચારાનું પ્રતીક બની હતી.
આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દક્ષાબેન અશોકભાઈ પરમાર, સહ સંયોજક અશોકભાઈ એમ. પરમાર, ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ નરેશભાઈ પરમાર અને પૂર્વ ઉપસરપંચ શંકરભાઈ પરમાર સહિત પ્રવીણભાઈ, કાંતિભાઈ, વશરામભાઈ સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ