જસ્ટિસ ડિલિવરી સિસ્ટમમાં AI સહભાગી બની શકે છે, પરંતુ નિર્ણયકર્તા નહીં: ન્યાયાધીશ એન. વી. અંજારીયા
- NFSU ગાંધીનગર ખાતે ''ઇન્ડિયા ડિજિટલ ADR સમિટ-2026''નું ઉદ્ઘાટન ગાંધીનગર, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે પ્રતિષ્ઠિત ન્યાયિક અને કાનૂની મહાનુભાવોની ઉપસ્થિતિમાં ''ઇન્ડિયા ડિજિટલ ADR સમિટ-2026'
NFSU ગાંધીનગર


- NFSU ગાંધીનગર ખાતે 'ઇન્ડિયા ડિજિટલ ADR સમિટ-2026'નું ઉદ્ઘાટન

ગાંધીનગર, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે પ્રતિષ્ઠિત ન્યાયિક અને કાનૂની મહાનુભાવોની ઉપસ્થિતિમાં 'ઇન્ડિયા ડિજિટલ ADR સમિટ-2026'નું ઉદ્ઘાટન તા.12 સપ્ટેમ્બર, 2026ના રોજ કરવામાં આવ્યું હતું. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ એન. વી. અંજારીયાએ મુખ્ય અતિથિ તરીકે ઉદ્ઘાટન સમારોહની અધ્યક્ષતા કરી હતી. તેમણે NFSU ગાંધીનગર કેમ્પસ ખાતે 'ઇન્ટરનેશનલ ડિજિટલ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સેન્ટર' (IDDRC)ની ડિજિટલ પહેલ એવા 'SAMYAK' (સમ્યક) પોર્ટલનું પણ લોકાર્પણ કર્યું હતું.

આ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં મંચ પર ભારતના એટર્ની જનરલ આર. વેંકટરમની; ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ; ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ભૂતપૂર્વ ન્યાયાધીશ એમ. આર. શાહ; અને ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ભૂતપૂર્વ ન્યાયાધીશ રાજેશ બિંદલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ એન. વી. અંજારીયાએ સંબોધનમાં જણાવ્યું હતું કે AI આપણને સેંકડો કેસોમાં શું બન્યું હતું તે જણાવી શકે છે અને એવા વલણો સમજવામાં મદદ કરી શકે છે જે કદાચ માનવ-નજરમાંથી છૂટી જાય. જોકે, હાલના કેસમાં શું થવું જોઈએ તે નક્કી કરવાનું કામ AI કરી શકતું નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો લવાદ પ્રક્રિયામાં અથવા કોઈપણ ન્યાયિક પ્રક્રિયામાં AIનો ઉપયોગ કરવો હોય તો અમુક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે. જસ્ટિસ ડિલિવરી સિસ્ટમમાં AI સહભાગી બની શકે છે, પરંતુ નિર્ણયકર્તા નહીં.

ભારતના એટર્ની જનરલ આર. વેંકટરમનીએ કાયદાના વિદ્યાર્થીઓને સંબોધતા NFSUને ભવિષ્યના શ્રેષ્ઠતાના વૈશ્વિક કેન્દ્ર (global hub of excellence) તરીકે કલ્પ્યું હતું, જે તેની અગ્રણી સિદ્ધિઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સંશયવાદ, ખંડન અને ચકાસણી એ વિજ્ઞાનના પાયાના સ્તંભો છે અને વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા, ખંડન કરવા અને ચકાસણી કરવા જેવી તપાસની આવશ્યક આદતો કેળવવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે NFSU ના IDDRC ને 'SAMYAK' (સમ્યક) પોર્ટલ શરૂ કરવાના મહત્વપૂર્ણ પગલા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પોર્ટલ પોતાની પ્રકારની એક અનોખી પહેલ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાનૂની સંસ્થાઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો સમાવેશ કરવા માટે સ્પષ્ટ નિયમો ઘડવા જરૂરી છે. આ નિયમોએ એવા કાર્યોને સ્પષ્ટપણે અલગ પાડવા જોઈએ જેમાં AI ની મદદ લઈ શકાય અને એવા કાર્યોને પણ અલગ પાડવા જોઈએ જે વિવાદ નિવારણની પ્રક્રિયામાં માનવીય નિર્ણયશક્તિ અને વિવેકબુદ્ધિના વિશિષ્ટ અધિકારક્ષેત્ર હેઠળ જ રહેવા જોઈએ.

આ ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ (GSHRC) ના અધ્યક્ષ ડૉ. કે.જે. ઠાકર, ગુજરાત હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી, ગુજરાત હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડૉ. એ.સી. જોશી; NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, NFSUના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર સી.ડી. જાડેજા; NFSU-દિલ્હીના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, NFSU-ગોવાના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી; તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, એસોસિએટ-ડીન અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande