
અમદાવાદ,12 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદના આશ્રમ રોડ પર ગાંધીનગરના નિવૃત સરકારી કર્મચારીને આશ્રમ રોડ પર વૃદ્ધને રીક્ષામાં બેસાડીને 20 હજારની લૂંટનો બનાવ બન્યો છે.
અમદાવાદના આશ્રમ રોડ પર નિવૃત વૃદ્ધ ગાંધીનગરથી દર્શન કરવા અમદાવાદ આવ્યા હતા. વૃદ્ધ પરત જતા હતા ત્યારે આશ્રમ રોડ પર એક રીક્ષા ચાલકે વૃદ્ધને રીક્ષામાં બેસાડીને ધમકી આપીને લૂંટી લીધા હતા. વૃદ્ધે સમગ્ર મામલે પોલીસને જાણ કરતા નવરંગપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં રહેતા 76 વર્ષીય કેશાભાઈ મકવાણા સરકારી નોકરીમાંથી નિવૃત થયા છે. કેશાભાઈ ગાંધીનગરથી અમદાવાદ લાલદરવાજા ભદ્ર મંદિર દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરીને સાંજના સમયે પરત જવા આશ્રમ રોડ પર નટરાજ સિનેમાના બસ સ્ટેન્ડ પર ઊભા હતા ત્યારે એક રીક્ષા આવી હતી. જેમાં બે મહિલા અને એક બાળક બેઠેલા હતા તેમાં કેશાભાઇ બેસી ગયા હતા.
થોડે આગળ જતા રીક્ષા ચાલકે નજીક બેસવાનું કહીને કેશાભાઈને કોલર પકડીને ધમકી આપી કે જે હોય એ આપી દે નહીં તો ચાલુ રિક્ષામાંથી નીચે ફેકી દઈશ. કેશાભાઈ પાસેથી પર્સ સહિત 20 હજારની લૂંટ કરી રીક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો. કેશાભાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ