ગાંધીનગર,18 ઓકટોબર (હિ.સ.) સ્વર્ણિમ સંકુલ-1 , ગાંધીનગર ખાતે આજે હર્ષ સંઘવીએ વિધિવત્ નાયબ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળતા પહેલા તેમણે ભગવાનના દર્શન કરીને ગુજરાતની પ્રગતિ અને નાગરિકોની જનસુખકારી માટે પ્રાર્થના કરી હતી.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સાથી સભ્ય તરીકે ચાર્જ સંભાળવાનો અવસર મળ્યો છે.
આજે ચાર્જ સંભાળ્યા બાદ નાયબ મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો શરૂ કરી છે. તે ઉપરાંત સાથી મંત્રીઓ અને પૂર્વ મંત્રીઓ સાથે બેઠક યોજીને તેમના અનુભવનું માર્ગદર્શન તેમજ તેમના સહયોગથી ગુજરાતના નાગરિકોની સુખાકારીમાં વધુમાં વધુ વધારો થાય તે દિશામાં કામ કરવામાં આવશે.
ચાર્જ સંભાળવાના આ પ્રસંગે અલગ અલગ જિલ્લાઓ અને શહેરોમાંથી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા શુભેચ્છકોએ હર્ષ સંઘવીને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ