જામનગર, 19 ઓક્ટોબર (હિ.સ.): જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવાના એક વૃદ્ધે પોતાની જમીનમાંથી પોણા ચાર વિઘા જગ્યા રાજકોટ જિલ્લાના વિરડા વાજડી ગામના શખ્સને વેચ્યા પછી પણ તેનો કબજો રાખી તેમાં મગફળી તથા તુવેરનું વાવેતર કર્યું હતું. એકાદ મહિના પહેલાં આ શખ્સે તે જમીન પર આવી ઉભો પાક ઉખેડી નાખવા ઉપરાંત ૧પ ઝાડનો સોથ વાળી દીધો હતો અને ફેન્સીંગ તથા થાંભલા તોડી નાખી રૂ.ર લાખનું નુકસાન કર્યું હતું.
કાલાવડ તાલુકાના નિકાવા ગામના રણછોડભાઈ મુળજીભાઈ ગમઢા નામના વૃદ્ધે ગયા જુલાઈ મહિનામાં નિકાવા ગામમાં આવેલી રે.સ.નં.૧૬૦ પૈકીની જમીનમાંથી પોણા ચાર વિઘા જમીન રાજકોટ જિલ્લાના વિરડા વાજડી ગામના અશ્વિન જીવાભાઈ મૈતરાને વેચી હતી. તે પછી પણ રણછોડભાઈ પાસે જમીનનો કબજો હતો.
ઉપરોક્ત જમીનમાં રણછોડભાઈએ મગફળી તથા તુવેરનું વાવેતર કર્યું હતું. ગઈ તા.૧૪ સપ્ટેમ્બરના દીને નિકાવામાં તે જમીન પર ધસી આવેલા અશ્વિન જીવાભાઈએ જેસીબી મશીનનો ઉપયોગ કરી ઉભો પાક ઉખેડી નાખ્યો હતો. જેના કારણે રણછોડભાઈને રૂ.દોઢ લાખનું નુકસાન થયું હતું. તે ઉપરાંત ખેતરના શેઢે લગાડવામાં આવેલી તારની ફેન્સીંગ તોડી નાખવા ઉપરાંત અશ્વીને ત્યાં ખોડવામાં આવેલા ૩૦ થાંભલા પણ પાડી નાખ્યા હતા.
આટલેથી ન અટકેલા અશ્વિને જમીનના શેઢે વાવેલા લીમડાના ૧પ ઝાડનો પણ સોથ બોલાવી દીધો હતો. અંદાજે રૂ.ર લાખનું આ શખ્સે નુકસાન સર્જયું હતું. તેવી ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં રણછોડભાઈએ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ હેઠળ ગુન્હો નોંધી અશ્વિન જીવાભાઈની ધરપકડ માટે તજવીજ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt