પોરબંદર, 19 ઓક્ટોબર (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ‘મન કી બાત’ કાર્યક્રમ દરમિયાન મેદસ્વિતા મુક્ત થવા માટે દેશવાસીઓને આહવાન કર્યું હતું. વડાપ્રધાનના આ આરોગ્યલક્ષી આહવાનને અનુસરતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યવ્યાપી મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ અભિયાનનો મુખ્ય હેતુ રાજ્યના નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવીને સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી વિકસાવવાનો છે. મેદસ્વિતા જેવી ગંભીર આરોગ્ય સમસ્યાથી મુક્તિ મેળવવા માટે લોકોને યોગ, પ્રાણાયામ, કસરત, સાયકલિંગ, સંતુલિત આહાર અને આરોગ્યપ્રદ આદતો અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
પોરબંદર જિલ્લામાં આ અભિયાન અંતર્ગત સમયાંતરે વિવિધ સ્વાસ્થ્યપ્રેરક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. સરકારી વિભાગો, શાળાઓ, કોલેજો, આરોગ્ય વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સ્થાનિક નાગરિકોના સહયોગથી આરોગ્ય જાગૃતિ માટે પ્રેરણાદાયક કાર્યક્રમો, સ્વસ્થ જીવન માટેના માર્ગદર્શન સત્રો તથા જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.
પોરબંદર લોકસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા પણ આરોગ્યમય જીવનશૈલી માટે સતત પ્રેરણા આપવામાં આવી રહી છે. તેમની આગેવાની હેઠળ “સન્ડે ઓન સાયકલિંગ” જેવી ઝુંબેશો દ્વારા નાગરિકોને નિયમિત શારીરિક પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે, જે મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પને વધુ ગતિ આપી રહ્યું છે.
આ સાથે પોરબંદરમાં જિલ્લા યોગ કોઓડિનેટર કેતન કોટીયાના માર્ગદર્શન હેઠળ સમયાંતરે જિલ્લામાં યોગ શીબીરો અને મેદસ્વિતા અને જનજાગૃતિના કાર્યકર્મોનુ આયોજન થતુ રહે છે જે પોરબંદર જિલ્લાના નાગરિકો વડાપ્રધાનના આરોગ્યપ્રદ સંકલ્પને સાકાર કરતા ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત – સ્વસ્થ ગુજરાત’ ને સાર્થક કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya