સુરત, 19 ઓક્ટોબર (હિ.સ.): સુરતથી દિવાળી પર્વની ઉજવણી કરવા પોતાના વતન ઘોઘંબા જઈ રહેલા 19 વર્ષીય યુવકનું વડોદરા નજીક નેશનલ હાઇવે પર બનેલી માર્ગ અકસ્માતની ઘટનામાં કરૂણ મૃત્યુ થયું છે.
મળતી માહિતી મુજબ, મૃતક પંકજભાઈ છત્રસિંહ બારીયા (ઉંમર 19, રહે. પાદેડી, તાલુકો ઘોઘંબા, જિલ્લો પંચમહાલ) પોતાના સાથી સાથે બાઇક પર ઘરે જઈ રહ્યા હતા. આ દરમ્યાન દરજીપુરા એરફોર્સ સ્ટેશન નજીક ટ્રકની જોરદાર ટક્કર વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર પહેલાં જ તેમનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતા હરણી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે મૃતક પંકજના માત્ર એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. આ દુર્ઘટનાની ખબર મળતા પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે