
જામનગર, 2 નવેમ્બર (હિ.સ.) : આજના આધુનિક યુગમાં, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિની મુખપાઠની પરંપરાને ભૂલી ગયા છે. ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા સામે દૃષ્ટિ કરીએ તો જણાય છે કે ઋષિ-મુનિઓના આશ્રમમાં બાળપણથી જ બાળકોને મુખપાઠ દ્વારા સંસ્કારિત કરવામાં આવતા કે જેના પરથી તેમના ઉત્કૃષ્ટ ભવિષ્ય કંડારવાનો એક મજબૂત આધાર તૈયાર થતો હતો. તેમાંથી જ ભારતને મહાન રાજાઓ, વિદ્વાનો, પંડિતો, વૈજ્ઞાનિકો અને ઋષિમુનિઓ મળ્યા છે.
આજે ટેકનોલોજીના અસંયમિત ઉપયોગથી સુ-સંસ્કારોને ભૂલતા આ યુગમાં, મુખપાઠની પરંપરાથી આજના બાળકો ગભરાઈને દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ આપણી સનાતન વૈદિક પરંપરાને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુવર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ફરીથી જીવંત કરી બતાવી છે.
ગત વર્ષે દિવાળીના દિવસો દરમિયાન તેઓએએક સંકલ્પ જાહેર કર્યો હતો કે, ‘આવતી દિવાળી સુધીમાં બી.એ.પી.એસ. સંસ્થાની બાળસંસ્કાર પ્રવૃત્તિનાં 10,000થી વધુ બાળ બાલિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરે.’
આ સંકલ્પ,તેઓએ એક પત્રના માધ્યમ દ્વારા તેઓએ વ્યક્ત કર્યો હતો. સત્સંગદીક્ષા એક એવો અભિનવ સંસ્કૃત-ગુજરાતી ગ્રંથ છે, જે મહાન સંતવિભૂતિ મહંત સ્વામી મહારાજે સનાતન શાસ્ત્રોના સારરૂપે 315 શ્લોકોમાં પ્રસ્તુત કર્યો છે.
સદાચાર, વ્યસનમુક્તિ, પ્રામાણિકતા અને ચારિત્ર્ય વગેરે નૈતિક મૂલ્યો, ભક્તિ-સત્સંગ-સદ્વાંચન વગેરે આધ્યાત્મિક મૂલ્યો,ભેદભાવ વિના સર્વજન સમ-આદર, સર્વધર્મ સમ-આદર, રાષ્ટ્રીય ભાવના વગેરે વિવિધ પ્રેરણાઓ આ ગ્રંથ દ્વારા તેઓએ જન સામાન્યમાં સિંચવાનો પુરુષાર્થ કર્યો છે.
લાખો લોકો પોતાના નિત્ય પ્રાત:ક્રમમાં આ સત્સંગદીક્ષા ગ્રંથનો પાઠ કરે છે. મહંત સ્વામી મહારાજના સંકલ્પે 15,000 કરતાં વધારે બાળકોએ આ ગ્રંથનો સંસ્કૃતમાં મુખપાઠ પૂર્ણ કર્યો છે અને વધુ 25,000 જેટલાં બાળ-બાલિકાઓ આ મુખપાઠના મહાન યજ્ઞમાં જોડાયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt