
મહેસાણા, 2 નવેમ્બર (હિ.સ.) : રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે વાજબી ભાવની દુકાન એસોસિએશનની રજૂઆત પર હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. તા. 25/10/2025ની રજૂઆતના અનુસંધાને આજે વિભાગીય બેઠક યોજાઈ હતી, જેમાં એસોસિએશનની કુલ 20 માંગણીઓમાંથી 11 મુદ્દાઓને સ્વીકારવામાં આવ્યા છે. વિભાગે આ અંગે જિલ્લા કક્ષાના અધિકારીઓ તથા પુરવઠા તંત્રને લેખિત સૂચનાઓ આપીને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે.
વિભાગના જણાવ્યા મુજબ નવેમ્બર મહિનાના વિતરણ માટે મોટા ભાગના દુકાનદારો ચલણ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી ચૂક્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી NFSA યોજના અંતર્ગત લાભાર્થીઓને અનાજની સુલભતા સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે પણ મહત્વના પગલાં લીધા છે.
વર્તમાન વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અન્ન અને પુરવઠા વિભાગે 3.5 કરોડ લાભાર્થીઓના હિતને પ્રાથમિકતા આપીને બાકી રહેલા દુકાનદારોને તાત્કાલિક વિતરણ પ્રક્રિયા પૂર્ણ કરવાની વિનંતી કરી છે. વિભાગે જણાવ્યું છે કે લાભાર્થીઓને સમયસર અનાજ ઉપલબ્ધ થાય તે રાજ્ય સરકારની પ્રથમ ફરજ છે અને આ હેતુસર તમામ તંત્રોએ સહકાર આપવો જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR