

અમદાવાદ, 3 નવેમ્બર (હિ.સ.) : માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ અવસરે તેમણે અમદાવાદ સ્ટેશન પર ચાલી રહેલ પુનર્વિકાસ કામો તથા હાઇ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી.
મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ સ્ટેશનની મુલાકાત લીધી અને આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ભારતમાં યાત્રીઓની આવશ્યકતાઓ ને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં રેલ્વે સ્ટેશનોના વ્યાપક પુનર્વિકાસ કરવામાં આવી રહ્યા છે. હાલ 1300થી વધુ સ્ટેશનો પર પુનર્વિકાસની કામગીરી ચાલી રહી છે, જેમાં અમદાવાદ સ્ટેશન એક મુખ્ય કેન્દ્ર છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અમદાવાદ સ્ટેશન ખાતે 16 માળની આધુનિક બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સરસપુર તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને અમદાવાદ હાઇ-સ્પીડ રેલ સ્ટેશન લગભગ પૂર્ણ થવા આવ્યું છે. બુલેટ ટ્રેન સ્ટેશન અને અમદાવાદ રેલ્વે સ્ટેશનને એકીકૃત સ્વરૂપે વિકસાવવામાં આવી રહ્યા છે, સરસપુર સાઇડ મેટ્રો સ્ટેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને મુસાફરો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે અમદાવાદ સ્ટેશનને ત્રણ વધારાના પ્લેટફોર્મ્સ મળશે, જેથી ટ્રેનોની સંચાલન ક્ષમતા વધશે. સ્ટેશનને શહેરના બંને તરફ, કાલુપુર અને સરસપુર બાજુ આધુનિક સ્વરૂપે વિકસાવવામાં આવી રહ્યું છે. બધા પ્લેટફોર્મ્સ કોન્કોર્સ રૂફ પ્લાઝાથી આવરી લેવાશે અને સ્ટેશન પર એલિવેટેડ રોડનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ રીતે કાલુપુર અને સરસપુર બન્ને તરફના ભાગોને કોન્કોર્સ, એલિવેટેડ રોડ અને ફૂટઓવર બ્રિજથી જોડવામાં આવશે. મંત્રીએ માહિતી આપી હતી કે છેલ્લી વખત જ્યારે તેમણે પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે ભોંયરુંનું કામ ચાલુ હતું, હવે બે ભૂગર્ભ ભોંયરાઓ અને ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂર્ણ થઈ ગયું છે જ્યારે ચોથા માળ સુધીની સ્ટ્રક્ચર ફ્રેમ તૈયાર થઈ ગઈ છે.
દેશના મુખ્ય 20 સ્ટેશનો જેમ કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા અને અમદાવાદમાંથી નવી ટ્રેનોની માંગ વધુ આવે છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરતથી પણ વધુ માંગ રહે છે. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંચાલન ક્ષમતાને વધારવા માટે અમદાવાદના વટવામાં એક મેગા ટર્મિનલ વિકસાવવામાં આવશે, જેમાં 10 પિટ લાઇનો બનાવવામાં આવશે. જેના માધ્યમથી અંદાજે 45 વધારાની ટ્રેનોની ક્ષમતા વધશે, જેથી ક્યાંક 150 જેટલી ટ્રેનોનું સંચાલન શક્ય બનશે.
અમદાવાદ સ્ટેશનનું પુનર્વિકાસ કાર્ય વારસાગત સ્મારકોને આધુનિક શહેરી કેન્દ્ર સાથે જોડવાની વિચારધાર પર આધારિત છે. આ પ્રોજેક્ટ વિશ્વ સ્તરના મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) તરીકે વિકસિત થશે, જેમાં પર્યાપ્ત પાર્કિંગ, કાલુપુર ROB અને સારંગપુર ROBને જોડતો એલિવેટેડ રોડ નેટવર્ક, લેન્ડસ્કેપ્ડ પ્લાઝા, કોન્કોર્સ વિસ્તાર અને અદ્યતન મુસાફરી સુવિધાઓ સામેલ રહેશે.
સ્ટેશનની વાસ્તુશિલ્પીય ડિઝાઇન મોઢેરાના સૂર્ય મંદિરથી પ્રેરિત છે, જે સાંસ્કૃતિક વારસો અને આધુનિક સૌંદર્યનો સુંદર સંગમ રજૂ કરશે. કાલુપુર તરફનું આઇકોનિક MMTH ટાવર અમદાવાદના આર્કિટેક્ચરલ દ્રશ્યમાં એક નવું પ્રતીક બનશે. ASI દ્વારા સુરક્ષિત ‘ઈંટ મીનાર’ તથા ‘ઝૂલતા મીનાર’ને પણ પુનર્વિકાસ યોજનામાં સામેલ કરવામાં આવશે.
આ સ્ટેશન રાષ્ટ્રીય હાઇ-સ્પીડ રેલ ટર્મિનલ, મેટ્રો અને BRTS સાથે એલિવેટેડ નેટવર્ક દ્વારા સરળતાથી જોડાશે, જેથી અસરકારક મલ્ટીમોડલ એકીકરણ સુનિશ્ચિત થશે અને શહેરના ટ્રાફિકમાં ઘટાડો થશે.
રેલ પાટા ઉપર 15 એકર જેટલા ક્ષેત્રમાં કોન્કોર્સ પ્લાઝા તેમજ 7 એકરનો મેઝેનાઇન પ્લાઝા બનશે, જેમાં મુસાફરો માટે વેઇટિંગ રૂમ, શૌચાલય, ફૂડ કોર્ટ, રિટેલ દુકાનો વગેરે સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. પુનર્વિકસિત સ્ટેશન ગ્રીન બિલ્ડિંગ ધોરણે વિકસાવવામાં આવશે, જ્યાં ઊર્જા કાર્યક્ષમતા, પાણી બચત અને નવીનીકરણીય ઊર્જાના ઉપયોગ પર ધ્યાન આપવામાં આવશે.
સ્ટેશનમાં અદ્યતન સુરક્ષા તકનીકો, સ્વચાલિત પાર્સલ ડેપો સિસ્ટમ અને દિવ્યાંગજન માટે સુસંગત લિફ્ટ તથા એસ્કેલેટરની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
અમદાવાદ રેલ્વે સ્ટેશનનું પુનર્વિકાસ પ્રોજેક્ટ માત્ર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક નહીં, પરંતુ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખતાં અમદાવાદને વૈશ્વિક મહાનગર તરીકે સ્થાપિત કરવામાં સહાયક બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ