70 લાખથી વધુ આબાદી ધરાવતું દેશનું પ્રથમ સ્લમ ફ્રી શહેર બનવાની દિશામાં સુરત અગ્રેસર
સુરતની જ તર્જ પર રાજ્યના અન્ય નગરો-મહાનગરોને પણ સ્લમ ફ્રી બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરવા મુખ્યમંત્રીએ સૂચના આપી
Jitu vaghani


સુરત, 31 ડિસેમ્બર (હિ.સ.)-ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દા અને મુખ્યમંત્રીએ આપેલા નિર્દેશો અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતગાર કર્યા હતા.

મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યના નગરો-મહાનગરોને સ્લમ ફ્રી એટલે કે, ઝૂંપડપટ્ટી મુક્ત શહેરો બનાવવા માટે એક મહત્વકાંક્ષી પહેલ કરી હતી. વર્ષ 2006માં સુરતની લગભગ 38 ટકા આબાદી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતી હતી.

ઝૂપડપટ્ટીમાં વસવાટ કરતા આ નાગરિકોનું જીવન ધોરણ ઊંચું લાવીને શહેરમાં સ્લમ વિસ્તાર ઘટાડવા વડાપ્રધાનએ છેલ્લા બે દાયકામાં અનેકવિધ પ્રયાસો કર્યા છે. જેના પરિણામ સ્વરૂપે આજે સુરતમાં ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા નાગરિકોની સંખ્યા ઘટીને ૫ ટકા સુધી પહોંચી છે. જેથી સુરતમાં સ્લમ uવિસ્તાર લગભગ નહિવત થવાના આરે છે અને સુરત રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર બને તેવા સાનુકૂળ સંજોગો ઊભા થયા છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રીએ કહ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ સાનુકૂળ પરિસ્થિતિને ધ્યાને લઈને સુરત શહેરને રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર કેવી રીતે બનાવી શકાય તે દિશામાં ચર્ચા-વિચારણા કરીને પરિણામલક્ષી કામગીરી કરવા માટે મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ સનદી અધિકારીઓને નિર્દેશ આપ્યો છે.

સુરત શહેર જો આ સિદ્ધિ પ્રાપ્ત કરશે, તો સુરત ભારતનું પ્રથમ મોટું સ્લમ ફ્રી શહેર બનશે. જોકે, ચંદીગઢ દેશનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર હોવાનું ગૌરવ ધરાવે છે, પરંતુ તેની વસ્તી લગભગ 10 લાખ છે. જેની સરખામણીમાં, સુરતની વસ્તી આશરે 70 થી 80 લાખ છે, જે આ સિદ્ધિને વ્યાપ અને જટિલતાની દ્રષ્ટિએ વધુ નોંધપાત્ર બનાવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

બેઠકમાં મુખ્યમંત્રીએ સુરતની જ તર્જ પર તબક્કાવાર રાજ્યના અન્ય નગરો અને મહાનગરોને પણ સ્લમ ફ્રી બનાવવાની દિશામાં અત્યારથી જ પરિણામલક્ષી કામગીરી હાથ ધરવા માટે સૂચનાઓ આપી હતી, તેમ પણ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande