પાટણ, 20 ફેબ્રુઆરી (હિ.સ.). પાટણ નગરના 1280મા સ્થાપના દિવસે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 25મો વિરાંજલી સમારોહ આયોજન કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, ધિણોજના રાજ રાજેશ્વર યોગીરાજ રૂખડનાથજી બાપુ અને સાણંદના ઠાકોર ધુવસિંહજી વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાજપૂત સમાજના દાતા પરિવાર અને વિરાંજલી કાર્યક્રમના સ્થાપક વડીલોએ વિશેષ સન્માન પ્રાપ્ત કર્યું.
વિરાંજલી સમારોહમાં રાજપૂત સમાજની દિકરીઓએ તલવાર રાસનું પ્રદર્શન કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધું. શક્તિસિંહ ગોહિલે પાટણના ઐતિહાસિક શાસનકાળને યાદ કરતા કહ્યું કે, તત્કાલીન શાસકોએ વિવાદોને સંવાદથી ઉકેલવાનો અભિગમ અપનાવ્યો હતો અને જૈન અને હિન્દુ ધર્મ વચ્ચે એકસૂત્રતા જાળવી હતી.
મહંત રાજ રાજેશ્વર યોગીરાજ રૂખડનાથજી બાપુએ આ કાર્યક્રમમાં આશીર્વચન પાઠવ્યા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પાટણના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરવામાં આવ્યો અને ભવિષ્યમાં પણ એ જ માર્ગે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર