વડોદરા, 27 મે (હિ.સ.)-વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ કામ કરતા 570 જેટલા ચોથા વર્ગના કર્મચારીઓ વર્ષો થી કાયમી નિમણૂકની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી તેઓની માગણીઓને સંતોષકારક જવાબ નહીં મળતા હવે ચોથા વર્ગ કર્મચારી સંઘે તા.5 જૂનથી હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. સંઘે આજથી આંદોલનની તયારી શરૂ કરી છે અને 28 મેના રોજ સમિતિને આવેદનપત્ર આપીને 4 જૂન સુધી નિર્ણય નહિ આવે તો હડતાલનું એલાન આપ્યું છે.
જાન્યુઆરીમાં ભૂખહડતાલના પગલે કારોબારી અને સંઘ વચ્ચે મીટિંગો યોજાઈ હતી, જેમાં સમાધાન માટે સંઘે એક ફોર્મ્યુલા રજૂ કર્યો હતો. ત્યારબાદ બંને પક્ષે હાઇકોર્ટમાં સંમતિ પૂર્વક ડ્રાફ્ટ રજૂ કરીને કેસ પરત લેવાનો વિચાર પણ આવ્યો હતો. પરંતુ સમસ્યાનો હલ આવી સુધી ના થતાં નારાજગી જોવા મળી છે.
આંદોલન પાછળનું મુખ્ય કારણ કર્મચારીઓને કાયમી નિમણૂક, પેન્શન, અને મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારજનોને લાભ મળવો છે. સંઘના જણાવ્યા મુજબ 313 કર્મચારીઓને પેન્શન, 115ને પગાર સાથે પેન્શન, અને મૃત્યુ પામેલા કર્મચારીઓને તમામ લાભ આપવાની માગણી છે. કુલ મળીને આશરે 100 કરોડનું એરિયર્સ ચૂકવવાનું બાકી છે.
આંદોલન સફળ થાય તો શહેરના સરકારી શાળાના વ્યવહારમાં અસ્તવ્યસ્તતા જોવા મળી શકે છે. જો કર્મચારીઓને કાયમી કરાય તો કોર્પોરેશન પર વાર્ષિક અંદાજે 8 કરોડનો વધારાનો ખર્ચ થવાની સંભાવના છે.
સંઘ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો તેમને યોગ્ય સમયમર્યાદામાં ન્યાય નહિ મળે તો સંઘ કઠોર પગલાં લેવા મજબૂર બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે