વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભુજ ખાતેથી રૂ. 53400 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની આપી ભેટ
ગાંધીનગર, 27 મે (હિ.સ.) : ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહેલીવાર દેશના સરહદી જિલ્લા કચ્છ ખાતે પધાર્યા હતા. વડાપ્રધાનએ ભુજ ખાતેથી રૂ. 2326 કરોડના 18 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ. 51088 કરોડના 15 કામોનો શિલાન્યાસ કરતા કુલ મળીને રૂ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી


ભુજ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુજ ખાતે


ગાંધીનગર, 27 મે (હિ.સ.) : ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહેલીવાર દેશના સરહદી જિલ્લા કચ્છ ખાતે પધાર્યા હતા. વડાપ્રધાનએ ભુજ ખાતેથી રૂ. 2326 કરોડના 18 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ. 51088 કરોડના 15 કામોનો શિલાન્યાસ કરતા કુલ મળીને રૂ. 53400 કરોડથી વધુના વિકાસપ્રકલ્પોની રાજ્યને ભેટ આપી છે.

ભુજના ટાઇમ સ્ક્વેર સામેના મેદાનમાં ભારત માતા કી જયના ઘોષ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ પણ પરિસ્થિતિમાં આપણા દેશનો તિરંગો ઝૂકવો જોઈએ નહીં. વડાપ્રધાનએ કચ્છીમાડુઓને સ્થાનિક મીઠી બોલીમાં આવકાર આપીને જણાવ્યું હતું કે, કચ્છના લોકો સરહદના સંત્રીઓ છે. પોતાના સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાનએ કિં આંયો કચ્છી શબ્દોથી કચ્છીમાડુઓના હાલચાલ પૂછ્યા હતા. કચ્છી સપૂત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્માને નમન કરીને વડાપ્રધાનએ ઉમેર્યું કે, કચ્છની દેશદેવી મા આશાપુરાના આર્શીવાદથી તમામ ઇચ્છાઓ પૂર્ણ થઈ છે.

કચ્છ સાથે પોતાના સંબંધોને યાદ કરીને વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, કચ્છીમાડુઓનો અપાર પ્રેમ મને અવારનવાર કચ્છ ખેંચી લાવે છે. કચ્છના ખૂણેખૂણે જવાનો અવસર પ્રાપ્ત થયો એ વાતનો આનંદ વ્યક્ત કરતા વડાપ્રધાનએ કચ્છના લોકોનો આત્મવિશ્વાસ તેમના જીવનને પ્રેરણા આપનારો ગણાવ્યો હતો.

નર્મદા નદીના પાણી થકી કચ્છમાં આવેલા આમૂલ પરિવર્તનનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનએ ઉમેર્યું હતું કે, સદીઓથી પાણીની તંગીનો સામનો કરતા કચ્છમાં મા નર્મદાના નીરના અવતરણથી દિવાળી જેવો પ્રસંગ સર્જાયો હતો. એક સમયના સૂકા મલક ગણાતા કચ્છમાં પાણીના અવતરણમાં નિમિત્ત બનવા બદલ વડાપ્રધાનશ્રીએ પોતાના જીવનની ધન્ય ઘડી ગણાવી હતી. વડાપ્રધાનશ્રીએ કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને બિરદાવતા જણાવ્યું હતું કે, એક સમય એવો‌ હતો કે કચ્છમાં પાણી નહોતું પણ કચ્છના ખેડૂતો પાણીદાર હતા, જેમણે કચ્છના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. કચ્છના વિકાસની સંભાવનાઓને પારખવા સાથે આજે થયેલા કચ્છના વિકાસ અંગે વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું કે, આશા અને નિરંતર પરિશ્રમથી કોઈપણ પરિસ્થિતિ બદલાઈ શકે તે કચ્છ જિલ્લાએ સાબિત કરી દીધું છે.

કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપની વાત કરતાં વડાપ્રધાનએ ઉમેર્યું હતું કે, ભૂકંપ બાદ દુનિયાને લાગ્યું કે કચ્છમાં હવે કંઈપણ શક્ય નથી. ભૂકંપ બાદ કચ્છીજનોના ખમીર ઉપર મારો વિશ્વાસ ટક્યો હતો અને તેના લીધે જ તમામ સંકટોને પાર કરી, ભૂકંપને પણ કંપાવીને કચ્છીમાડુઓ બેઠા થયા છે. વડાપ્રધાનએ ઉમેર્યું કે, કચ્છ આજે વ્યાપાર અને પ્રવાસનનું કેન્દ્ર બન્યું છે. આગામી સમયમાં આ પ્રદેશની ભૂમિકા વધુ વિસ્તૃત બનવાની છે.

કચ્છ‌ સહિત સમગ્ર દેશના રિન્યૂએબલ ઊર્જાના પ્રોજેક્ટ્સ દુનિયાની ગ્રીન ઈકોનોમી બ્લૂમ કરવામાં કેન્દ્રસ્થાને રહેશે એવો વિશ્વાસ વડાપ્રધાનશ્રીએ આ તકે વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, કચ્છ દુનિયામાં ગ્રીન એનર્જીનું સૌથી મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ગ્રીન હાઇડ્રોજન એ નવા પ્રકારનું ઈંધણ છે. આગામી સમયમાં કાર, બસ, સ્ટ્રીટલાઈટ વગેરે તેનાથી ચાલશે, જે ભારતના ઊર્જા ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે.

કંડલા દેશના ત્રણ ગ્રીન હાઇડ્રોજન હબમાંનું એક છે. આજે અહીં ગ્રીન હાઇડ્રોજનના કારખાનાનો શિલાન્યાસ થયો છે, તેની ટેક્નોલોજી મેઈડ ઈન ઈન્ડિયાની છે, જે આપણા સૌના ગૌરવની વાત છે.

કચ્છ એ ભારતની સૌર ઊર્જા ક્રાંતિના કેન્દ્રમાં છે. વિશ્વના સૌથી મોટા સૌર ઊર્જા પૈકીનો એક આ ક્ષેત્રમાં વિકસાવવામાં આવી રહ્યો છે. ખાવડા સંકુલની સ્થાપના સાથે કચ્છે વૈશ્વિક ઊર્જાના નકશા પર પોતાનું સ્થાન મજબૂત કર્યું છે, એમ જણાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, જે રણમાં એક સમયે ધૂળની ડમરીઓ ઊડતી હતી, એ રણ હવે હિન્દુસ્તાનને ઊર્જાવાન બનાવશે. લોકોને પૂરતી વીજળી પણ મળે અને વીજ બિલ પણ ઝીરો થાય તે માટે પી.એમ. કિસાન સૂર્યોદય મફત વીજળી યોજના શરૂ કરી છે. જેમાં ગુજરાતના લાખો લોકો જોડાયા છે.

દરિયાકાંઠાના પ્રદેશોના આર્થિક મહત્ત્વ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, દરિયા કિનારો એ વિવિધ દેશોની સમૃદ્ધિનું કારણ બન્યો છે. લોથલ જેવા પ્રાચીન પોર્ટ સિટીઝની ભારતના સમૃદ્ધ વેપારમાં ભૂમિકાનું ઉદાહરણ ટાંકીને વડાપ્રધાનએ કહ્યું હતું કે, તેનાથી પ્રેરિત થઈને સરકાર પોર્ટ સિટીઝનો વિકાસ અને વિસ્તાર કરવા સાથે દેશ પોર્ટના વિસ્તાર અને આધુનિકરણ માટે મોટું રોકાણ કરી રહ્યો છે. દેશના મોટા બંદરોમાં પહેલીવાર એક વર્ષમાં રેકોર્ડ 15 કરોડ ટન કાર્ગોનું હેન્ડલિંગ કર્યું છે. જેમાં કંડલાનું દીનદયાલ પોર્ટ પણ સામેલ છે.

વડાપ્રધાનએ કહ્યું હતું કે, દેશના કુલ સમુદ્રી વેપારનો લગભગ એક તૃતિયાંશ કારોબાર કચ્છના બંદરો પરથી થાય છે. આથી કંડલા અને મુન્દ્રાની ક્ષમતા અને કનેક્ટિવિટીને સતત વધારવામાં આવી રહ્યા છે. આજે અહીં શિપીંગને લગતી અનેક સુવિધાઓનું લોકાર્પણ થયું છે.

તેમણે કહ્યું હતું કે, આપણા દેશની તેમજ વિદેશની જરૂરિયાતો માટે પણ દેશમાં જ વિશાળ જહાજોનું નિર્માણ કરવામાં આવશે. કચ્છના ઈતિહાસનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, એક સમયે માંડવી જહાજના નિર્માણ માટે દેશ-દુનિયામાં જાણીતું હતું. અહીંના લોકો મોટા જહાજો બનાવતા હતા. બજેટમાં આ માટે વિશેષ ભંડોળ બનાવવાની જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે, આપણે હવે શીપ બિલ્ડિંગ ક્ષેત્રમાં હવે શક્તિ લગાડી રહ્યા છીએ. આપણે અહીં વિશાળ જહાજો બનાવીને દુનિયામાં નિકાસ કરીશું. આ ક્ષેત્રમાં રોજગારીની સૌથી વધુ તકો છે.

કચ્છની કલા અને વિવિધ ક્ષેત્રે થયેલા વિકાસનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનએ કહ્યું હતું કે, હવે કચ્છી કળાને જી.આઈ. ટેગ મળ્યો છે અને કચ્છી કૃતિઓને દુનિયામાં ઓળખ મળી રહી છે.

ગુજરાત તથા કચ્છમાં પાણીની તંગીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, કેવડીયાથી લઈને કચ્છ સુધીની જે નહેર બનેલી છે, તેણે કચ્છની કિસ્મત બદલી નાંખી છે. આજે કચ્છની કેરી, ખજૂર, અનાજ, જીરૂ વગેરે પાકો દેશ-દુનિયાના બજારોમાં પહોંચી રહ્યા છે.

પ્રવાસનને મોટેપાયે રોજગારીનું સર્જન કરવાની ક્ષમતા ધરાવતું ક્ષેત્ર ગણાવતા વડાપ્રધાનએ

ટૂરિઝમ ક્ષેત્રે કચ્છની વિશેષતાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, કચ્છમાં સમૃદ્ધ ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો અને પ્રકૃતિનું સૌંદર્ય છે. આજે રણોત્સવ બુલંદી તરફ આગળ વધી રહ્યો છે. સ્મૃતિવનને યુનેસ્કોએ કચ્છનું સૌથી સુંદર સંગ્રહાલય ગણાવ્યું છે. ધોરડો દુનિયાનું બેસ્ટ ટૂરિઝમ વિલેજ બન્યું છે.

માંડવીનો દરિયા કિનારો પ્રવાસીઓના મુખ્ય આકર્ષણ તરીકે વિકસી રહ્યો હોવાનું જણાવી વડાપ્રધાનશ્રીએ રણોત્સવ સાથે બીચ સ્પોર્ટસ્ શરૂ કરવા પ્રેરણા આપી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે, કચ્છના સમુદ્રી તટ પર રમતોત્સવથી કચ્છનું પ્રવાસન નવી ઊંચાઈ પર પહોંચશે.

11 વર્ષ અગાઉ 26મી મેના રોજ વડાપ્રધાન તરીકે લીધેલા શપથનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતની સેવાથી દેશની સેવાની આ યાત્રાએ 11 વર્ષ પૂર્ણ કર્યા છે. 11 વર્ષ અગાઉ શપથ લીધા ત્યારે દેશ દુનિયાની 11 મી અર્થવ્યવસ્થા હતો. આજે 11 વર્ષ પછી ભારત દુનિયાની ચોથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે.

ભારત ટૂરિઝમ પર વિશ્વાસ કરે છે, તેવું કહીને વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું કે, ટૂરિઝમ લોકોને જોડવાનું કામ કરે છે. તેમણે પર્યટનના બદલે આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનની વાત કરતાં કહ્યું હતું કે, આતંકવાદ ગંભીર વૈશ્વિક ખતરો છે અને તેની સામે આપણી નીતિ ઝીરો ટોલરન્સની છે, તે વાત ઓપરેશન સિંદૂર થકી આપણે વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે. આ ઓપરેશન માનવતાની રક્ષા કરવા અને આતંકવાદને નાથવા માટે શરૂ કરવામાં આવ્યું છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે જો કોઈ પણ ભારતીયોનું લોહી વહેવડાવશે, તો તેને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવશે. પહેલગામ હુમલા બાદ પણ પાકિસ્તાને આતંકવાદી સંગઠનો સામે કોઈ કાર્યવાહી શરૂ ના કરતા ભારતીય સશસ્ત્ર દળોને જવાબી કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવી હતી. આતંકવાદી મુખ્યાલયો સચોટ હુમલા થકી નેસ્તનાબૂદ કરી નાંખ્યા છે.

ભારતની નિર્ણાયક કાર્યવાહી બાદ પાકિસ્તાનના ગભરાટનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, પાકિસ્તાને ભારતીય નાગરિકો પર બદલો લેવા હુમલાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતે બમણી તાકાતથી જવાબ આપી તેના લશ્કરી સ્થળો પર હુમલા કર્યા. આ ચોક્કસાઈ ભરેલા હુમલાઓમાં પાકિસ્તાનના લશ્કરી એરબેઝ અને લશ્કરી ઠેકાણાઓનો નાશ થવાથી વિશ્વ સ્તબ્ધ થઈ ગયું હોવાનું જણાવતા તેમણે સશસ્ત્ર દળોની તેમની અસાધારણ બહાદુરી અને ચોક્કસાઈ માટે પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીશ્રીએ 1971 ના યુદ્ધની વાતને યાદ કરીને જણાવ્યું હતું કે, ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં કચ્છની સરહદ પરના વાયુ સેનાના રન -વે ને ખૂબ જ નુકસાન થયું હતું, ત્યારે માધાપરની મહિલાઓએ બોમ્બ મારા વચ્ચે માત્ર 72 કલાકના ટૂંકા સમયમાં રન વે તૈયાર કરી દીધો હતો. જે રનવે પરથી ઉડાન ભરી ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનને યુદ્ધમાં પછડાટ આપી હતી. આજે મને એ મહિલાઓના આશીર્વાદ મળ્યા છે. તેમણે મને સિંદૂરનો છોડ અર્પણ કર્યો છે, જે છોડ થકી આજે કચ્છની અંદર સિંદૂર વનનું પણ નિર્માણ કરવામાં આવશે. ભારતની લડાઈ સરહદ પારના આતંકવાદ અને તેને પ્રોત્સાહન આપનારા સામે છે.

તેમણે પાકિસ્તાનના નાગરિકોને કચ્છની સરહદ ઉપરથી સંદેશો આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાનની સરકાર અને સેના આતંકવાદીઓને પ્રોત્સાહન અને સહકાર આપવાનું કામ કરે છે. તેમણે પાકિસ્તાનના નાગરિકોએ તેમના દેશ અને બાળકોના સુવર્ણ ભવિષ્ય માટે આ વાત અને પરિસ્થિતિની વાસ્તવિકતા ઓળખવા જણાવ્યું હતું.

પાકિસ્તાનની સરકાર અને સૈન્ય આતંકવાદનો ઉપયોગ આવક ઉત્પન્ન કરવાના સાધન તરીકે કરતા તેને સમર્થન આપે છે. તેમણે પાકિસ્તાની નાગરિકોને આ અંગે ચિંતન કરવા હાકલ કરી હતી.

આ અવસરે ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાને અભિનંદન પાઠવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આતંકવાદ સામે ઝીરો ટોલરેન્સની નીતિ અપનાવી આગવું ખમીર ઝળકાવનારા વડાપ્રધાન ઓપરેશન સિંદૂરની સફળતા પછી પહેલીવાર ગુજરાત પધાર્યા છે. તેઓ દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરવા સંકલ્પબદ્ધ છે.

ગુજરાતની સર્વગ્રાહી વિકાસગાથા વિશે વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણી અને વીજળીને પાયામાં રાખીને વિકાસનું નવતર વિઝન આપ્યું છે. વિકાસ માટેની આ બે મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરતા તેમણે સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટની જે પરંપરા વિકસાવી છે, તેમાં તેમણે ખાસ કરીને ગ્રીન ગ્રોથ-રિન્યુએબલ એનર્જીને પ્રાથમિકતા આપી છે. એક સમય હતો જ્યારે લોકો વાળુ કરવા ટાણે વીજળી મળે એવી માંગણી કરતા હતા. પરંતુ આજે ‘જ્યોતિગ્રામ’ યોજનાથી ગામેગામ 24 કલાક થ્રી ફેઈઝ વીજળી પહોંચી છે. જ્યારે દુનિયામાં સોલર એનર્જી, ક્લાયમેટ ચેન્જની માત્ર વાતો થતી ત્યારે તેમના નેતૃત્વમાં ગુજરાતે ક્લાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને ચારણકામાં એશિયાનો તે સમયનો સૌથી મોટો સોલાર પાર્ક કાર્યરત કરી દીધો હતો. એટલું જ નહીં, દુનિયામાં જ્યારે સૌર ઊર્જા ટેકનોલોજી પ્રારંભિક અવસ્થામાં હતી ત્યારે ગુજરાતે સૌથી પહેલાં સોલાર પોલિસી- 2009 અપનાવીને સોલાર એનર્જીમાં ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો હતો.

રિન્યુએબલ એનર્જીને વેગ આપવા આપણે સોલાર પોલિસી, સોલાર વિન્ડ હાઇબ્રીડ પોલીસી અને ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલીસી- 2023 પણ અપનાવી છે એમ કહેતાં વધુમાં તેમણે કહ્યું હતું કે, રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતોના ઉપયોગને આ પોલિસીથી નવી ગતિ મળી છે. ખાવડામાં 37.35 ગીગાવોટની ક્ષમતા સાથેનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે. સૌર અને પવન ઊર્જા સહિતના ક્ષેત્રોમાં ગુજરાતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિકસાવ્યું છે તે દેશ માટે દિશાદર્શક બન્યું છે.

ભારતે વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં ગુજરાતે કરેલી કામગીરી વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જાણકારી આપી કે રાજ્યની કુલ સ્થાપિત વીજ ક્ષમતામાંથી 55 ટકા ક્ષમતા રિન્યુએબલ એનર્જીની થઈ છે. રાજ્યના 3.40 લાખથી વધુ ઘરોમાં સોલાર રૂફટોપ છે. જ્યારે મોઢેરા દેશનું પ્રથમ સોલાર વિલેજ બન્યું છે. વડાપ્રધાનશ્રીએ ગ્રીન-ગ્રોથના વિઝન સાથે મિશન લાઇફના વિચાર દ્વારા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપી છે. એટલું જ નહીં, તેમણે વિકસિત ભારત- 2047 ના લક્ષ્યને સાકાર કરવા માટે દેશવાસીઓને ‘એક પેડ મા કે નામ’, ‘કેચ ધ રેઈન’ જેવા જનઅભિયાનો સહિત નવ સંકલ્પો આપ્યા છે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પોને સાકાર કરીને ગ્રીન-ક્લીન એનર્જીના કમિટમેન્ટ સાથે આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ પાર પાડવી છે તેવી પ્રતિબદ્ધતા આ તકે મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

વડાપ્રધાનને ઓપરેશન સિંદૂરની સફળતાનો શ્રેય આપતા કેન્દ્રીય વીજ, આવાસ અને શહેરી બાબતોના મંત્રીશ્રી મનોહરલાલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આજે દેશના દરેક નાગરિકોમાં ઓપરેશન સિંદૂરની સફળતાનો અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો‌ છે. આજે દેશમાં ગ્રીન ઊર્જાના ક્ષેત્રમાં કલ્પનાથી વધુ ઉત્તમ માળખાકીય સુવિધાઓ અને પ્રકલ્પોનું નિર્માણ થયું છે.‌ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ આજે સમગ્ર દેશમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે. એક સમયે દેશમાં વીજળીની કટોકટી હતી, પરંતુ આજે દેશના દરેક ગામમાં 22 થી 24 કલાક વીજળી લોકોને મળી રહી છે. વિદ્યુત ક્ષેત્રે આજે થયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્તથી ગુજરાત મોડેલના ગ્રીન એનર્જીના વિકાસની પ્રતિતિ સમગ્ર દેશને થઈ છે.

વીજળી કપાતની સ્થિતિ આજે દેશમાં ભૂતકાળ બની ગઈ છે એમ કહેતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રિન્યૂએબલ એનર્જીના ક્ષેત્રમાં આજે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર બન્યું છે અને વડાપ્રધાનના વિકાસના દૂરંદેશી વિઝનથી આજે દેશ વિશ્વમાં ચોથા નંબરની અર્થવ્યવસ્થા બની છે. સામાન્ય નાગરિકના દુઃખને જાણીને તેનું નિરાકરણ લાવવાના અભિગમથી જનજનનો સર્વાંગી વિકાસ થયો‌ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત-2047માં વિકસિત થશે એની સાથો-સાથ દેશનો દરેક પ્રદેશ, જિલ્લો અને ગામ પણ વિકસિત બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સભામાં પધાર્યા બાદ વડાપ્રધાનનું મંત્રીઓ, ધારાસભ્યઓ, વરિષ્ઠ આગેવાનશ્રીઓ તથા વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનારા નાગરિકો દ્વારા ક્ચ્છી પાધ, શાલ, ક્ચ્છી ભરતકામના સ્મૃતિચિહ્ન સહિતની ભેટો આપીને ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના આગમન પૂર્વે જાણીતા લોકકલાકારો ગીતાબેન રબારી, નીલેશ ગઢવી તથા દિવાળીબેન આહિર સહિતનાએ દેશભક્તિની ગાયન કૃતિઓ રજૂ કરીને લોકોને ડોલાવ્યા હતાં.

“ઓપરેશન સિંદૂર” પછી પ્રથમ વખત કચ્છની ધરા ઉપર આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કચ્છી માડુઓએ ભવ્યાતિભવ્ય સ્વાગત કરીને આવકાર્યા હતા. વડાપ્રધાન ભુજ એરપોર્ટથી સીધા બપોરે હીલગાર્ડન રોડ પહોંચ્યા હતા. અહીંથી શરૂ થયેલા રોડ-શોમાં સ્વયંભૂ ઊમટેલા કચ્છી ભાઈ-બહેનોએ કચ્છી પરંપરા અનુસાર, ઢોલ-નગારા-શરણાઈ અને પુષ્પવર્ષા કરીને વડાપ્રધાનને ઉમંગભેર વધાવ્યા હતા. રોડ-શોમાં લહેવારાયેલા એક કિલોમીટર લાંબા ત્રિરંગાએ લોકોને દેશભક્તિના રંગે રંગી દીધા હતા. આ રોડ-શોમાં વિવિધ સમાજ, સંગઠન અને સંસ્થાઓએ કચ્છની ભાતીગળ સંસ્કૃતિ રજૂ કરી હતી.

આ પ્રસંગે નાણાં મંત્રી કનુભાઇ દેસાઈ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વે કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરુધ્ધભાઈ દવે, ત્રિકમભાઈ છાંગા, અગ્રણી સર્વે દેવજીભાઈ વરચંદ, મુખ્ય સચિવ પંકજ જોશી, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના એમ.ડી. જયપ્રકાશ શિવહરે, રેન્જ આઈ.જી. ચિરાગ કોરડીયા, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નિવાસી અધિક કલેકટર ડી.પી.ચૌહાણ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande