પાટણ, 27 મે (હિ.સ.)હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. આ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણ ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી છે.
ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ કાપણી કરેલા પાકને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી દે. જો એવું ન કરી શકાય તો પાકને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી ઢાંકવાની વ્યવસ્થા કરે. સાથે જ પાકના ઢગલાની આસપાસ માટીનો પાળો બનાવી વરસાદી પાણીથી બચાવ કરવાની ભલામણ કરવામાં આવી છે.
વિભાગે વધુમાં ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગથી દૂર રહેવાની સલાહ આપી છે. ખાતર અને બિયારણના વેપારીઓએ તેમનો જથ્થો ગોડાઉનમાં સુરક્ષિત રાખવો જોઈએ. APMC વેપારીઓ અને ખેડૂતોને પણ પેદાશ વેચાણમાં તકેદારી રાખવા અથવા પેદાશ સુરક્ષિત સ્થાન પર રાખવાની સૂચના આપવામાં આવી છે. વધુ માહિતી માટે ખેડૂતો ટોલ ફ્રી નંબર 1800-180-1551 પર સંપર્ક કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર