વડોદરા, 27 મે (હિ.સ.)-વડોદરાના હાથીખાનાની હોલસેલ અનાજ બજારમાં ગઈ મોડી રાત્રે, આગ લાગવાની ઘટના સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં આવેલી રાજા મસાલા નામની દુકાનમાંથી અચાનક ધુમાડા નીકળતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા.
દુકાનમાં રાખેલા મસાલા અને દલચિની જેવી સળવળતી સામગ્રીના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, જેના પગલે નજીકની દુકાનો માટે પણ જોખમ ઊભું થયું હતું. સ્થાનિક લોકોના જાણ કરતા તરત જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર વિભાગની ટીમોએ સતત એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. ગેસ અને વીજ કંપનીની ટીમોએ પણ સમયસર પહોંચી જઈ સપોર્ટ આપ્યો હતો, જેના કારણે આગ વધુ ન ફેલાઈ. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થળ પર એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી હતી.
હર્ષની વાત છે કે ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. પોલીસ હાલમાં આગના કારણની તપાસ શરૂ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે