મોડાસા, 28 મે (હિ.સ.) વડતાલ ધામના મુખ્ય પીઠાધીશ તથા અન્ય સંતોની ઉપસ્થિતિ તથા તેમનાં પ્રેરણાદાયી આશીર્વચનની સાથે, ડૉ. જાનકી સ્મૃતિ સંસ્થાનનો પારિતોષિક વિતરણ તથા ભાંવાંજલિ અર્પણ કાર્યક્રમ સવારના ૯. ૩૦ થી ૧૨. ૩૦ દરમ્યાન યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય આયોજક તથા યજમાન, શબ્દ વાવેતર પરિવારનાં જ સંચાલક એવાં કિરણબેન શર્મા પાઠક તથા રાકેશભાઈ પાઠક હતા.
ભોજન વિરામબાદ, શબ્દ વાવેતર સાહિત્ય પરિવારનું તૃતીય સાહિત્યિક સ્નેહસંમેલન શરૂ થયું. પ્રથમ દિવસે, સંચાલક નિશીથ બક્ષી 'નિજાનંદ' ના સ્વાગત પ્રવચન બાદ, સંસ્થાની પ્રવૃત્તિનો ચિતાર સંસ્થાના સ્થાપક સંચાલક, પિનાકિન પારેખ દ્વારા આપવામાં આવ્યો. મહારાષ્ટ્ર, ગુજરાત તથા સૌરાષ્ટ્રના છેવાડાના શહેરોથી આવેલાં ૧૫૦ સભ્યો ઉપરાંત આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં, પંદર જેટલાં ઉત્તમ પુસ્તકોનું વિમોચન, ગ્રુપના સભ્યો દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન સંચાલક હરીશ થાનકી તેમ જ વિજય પરમાર દ્વારા કરવામાં આવ્યું.
પુસ્તકવિમોચન બાદ, ચાલીસ જેટલા ઉત્સાહી કવિઓએ તેમનાં સ્વરચિત કાવ્યોનું પઠન, તાળીઓના ગડગડાટ વચ્ચે પ્રસ્તુત કર્યું હતું.
રવિવારે સવારે ફરી નવા ઉમંગ સાથે બધા સભ્યો ભવ્ય વાતનુકૂલિત સભાગૃહમાં ઉપસ્થિત થયા અને સંચાલક કિરણબેન શર્માના પ્રાસંગિક વક્તવ્ય બાદ, પુસ્તક વિમોચન તથા કાવ્યપઠનનો બીજો દોર શરૂ કર્યો. રવિવારની રજા હોઈ, અન્ય પચાસેક સભ્યો પણ વિવિધ વિસ્તારમાંથી જોડાયા હતા. સભ્યોને ગદ્ય, પદ્ય લેખનમાં સુધારો કરવા માટેનાં સૂચનો પણ સંચાલક મંડળના તરલિકા પ્રજાપતિ, 'તત્વમસિ' દ્વારા આપવામાં આવ્યાં. અન્ય પંદર જેટલાં પુસ્તકોનાં વિમોચન બાદ ગીતસંગીતનો કાર્યક્રમ ખૂબ ઉત્સાહપૂર્વક યોજાયો.
સમગ્ર સમારંભના આયોજન તથા સફળતા માટે આણંદના સભ્ય, સંચાલક એવા વિજય પરમાર તથા તેમનાં પત્ની મિત્તલબેનનો ખૂબ મોટો ફાળો રહ્યો તથા હરિભક્તોનો સહકાર પણ નોંધનીય હતો. સાથે જ વડીલ સભ્ય ડૉ. હર્ષદ લશ્કરી તથા અન્ય વરિષ્ઠ, અનુભવી સભ્યોનું નિરિક્ષણ તથા માર્ગદર્શન, કાર્યક્રમને સફળ થવા માટેનું પ્રેરક બળ બની રહ્યું. ઉપસ્થિત દરેક સભ્યોને શિલ્ડ, સુંદર સ્મૃતિભેટ તેમ જ, જે તે કાર્ય અંગેનાં પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ