વલસાડ, 28 મે (હિ.સ.)-વિશ્વ સ્તરે દર વર્ષે 28 મેના રોજ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવે છે, જેનો હેતુ છે સ્ત્રાવ અંગે જાગૃતિ લાવવી અને આરોગ્યપ્રદ વ્યવહાર પ્રત્યે અભિગમ વિકસાવવો. આજના આધુનિક યુગમાં પણ આ વિષયને લઈને અનેક ગેરમાન્યતાઓ અને સામાજિક વાંકીવટાણાં છે. એવી સ્થિતિમાં વલસાડ જિલ્લામાં એક મહત્વકાંક્ષી પહેલ રૂપે “કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ” અમલમાં મૂકાયો છે.
વલસાડ જિલ્લાની 499 શાળાઓમાં રૂ. 51 લાખના ખર્ચે સેનેટરી પેડ વેન્ડિંગ મશીન અને ડિસ્પોઝલ મશીન સ્થાપિત કરવામાં આવ્યા છે. આ નવીન પ્રોજેક્ટના અમલથી જિલ્લાની અંદાજે 25,000 કિશોરીઓને આરોગ્યપૂર્ણ અને સ્વચ્છ જીવનશૈલી અપનાવવા માટે મદદ મળી છે.
પ્રોજેક્ટની વિશેષતાઓમાં સમાવેશ થાય છે:
* 425 શાળાઓમાં 15મી નાણાકીય સહાય હેઠળ સાધનો મુકાયા
* 74 શાળાઓમાં સર્વશિક્ષા અભિયાન હેઠળ પેડ વિતરણ અને મશીન વ્યવસ્થા થઈ
* દરેક ગામ માટે રૂ. 2500ની ગ્રાન્ટ એનાયત કરાઈ
* સ્કૂલોમાં કિશોરીઓને તાલીમ આપવા માટે મેડિકલ ઓફિસર અને મહિલા હેલ્થ વર્કર દ્વારા માર્ગદર્શન અપાયું
વેન્ડિંગ મશીનો વિજળી વગર પણ કાર્યરત રહે છે, જ્યારે ઇન્સિનેરેટર મશીનમાં વપરાયેલ પેડ નાખવાથી તે રાખમાં રૂપાંતરિત થાય છે. ઓટો કટ-ઓફ, તાપમાન નિયંત્રણ અને ટાઈમર જેવી સુરક્ષિત સુવિધાઓથી મશીનો સજ્જ છે.
આ પ્રોજેક્ટથી કિશોરીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે, શાળાની હાજરીમાં સુધારો જોવા મળ્યો છે અને સ્વચ્છતા અંગે જાગૃતિ જાગી છે. આ એક એવું પગલું છે જે બાળકીના ગૌરવ અને આરોગ્ય બંને માટે મજબૂત આધાર રૂપ છે.
2025ની વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની થીમ હતી Together for a #PeriodFriendlyWorld. આ થીમનું મુખ્ય ઉદ્દેશ્ય છે માસિક ધર્મ દરમિયાન ગૌરવ, સમાનતા અને આરોગ્ય જેવી મૂળભૂત હકો માટે સમૂહ રીતે આગળ આવવું.
અંતે આપણે સૌએ મળીને સંકલ્પ લેવો જોઈએ કે દરેક કિશોરી અને સ્ત્રી માસિક ધર્મ દરમિયાન આત્મવિશ્વાસ અને ગૌરવ સાથે જીવન જીવી શકે. વલસાડ જિલ્લા દ્વારા શરૂ કરાયેલી આ પહેલ ખરેખર રાજ્ય માટે એક સશક્ત મોખરું પગલું છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે