ગીર સોમનાથ 28 મે (હિ.સ.)
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વેરાવળ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જે બાળકોના જન્મ તા.૦૧-૦૯-૨૦૧૮ પછી થયા હોય તેવા બાળકોના જન્મનો દાખલો ફક્ત ૧૫ મિનિટમાં મળી રહે તે પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓની ઉત્તમ પ્રકારની કામગીરી અને સુવિધાથી અરજદારોને સમયની પણ બચત થશે.
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા જન્મ-મરણ નોંધણી કચેરી દ્વારા ફક્ત ૧૫ મિનિટમાં જ જન્મ પ્રમાણપત્ર કાઢી આપી અને પ્રમુખ પલ્લવીબહેન જાનીના હસ્તે વાલીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.
આ ઉપક્રમ સબબ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા જન્મ-મરણ નોંધણી કચેરીના સબ રજીસ્ટ્રાર જીતેન્દ્ર વાળાએ જણાવ્યું હતું કે, તા.૦૧-૦૯-૨૦૧૮ પછી જે બાળકોનો જન્મ થયો હોય તેવા બાળકનું જન્મનું પ્રમાણપત્ર માત્ર ૧૫ મિનિટમાં જ કાઢી આપવામાં આવશે. આ વર્ષની અંદર જન્મ-મરણ નોંધણી કચેરી દ્વારા ૧૯૦૦૦ જેટલા કુલ પ્રમાણપત્ર ઈશ્યૂ કરવામાં આવ્યાં છે. તેમજ આર.ટી.ઈની તમામ પ્રકારની અરજીઓનો નિકાલ કરાયો છે.
આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડવા સબ રજીસ્ટ્રાર જીતેન્દ્રવાળાએ સીનિયર ક્લાર્ક હિતેશ પંડ્યા, ક્લાર્ક નરેન્દ્ર ચાવડા, હિરાબહેન ગોહેલ, જ્યોતિબહેન બેરડિયા, સર્વે ઓપરેટર ગીરીશ ગીલગીલાણી, વિજય પંડિતની ટીમવર્કને શ્રેય આપ્યો હતો.
તેમજ નગરપાલિકા પ્રમુખ દ્વારા ઉત્તમ કામગીરી કરનાર જન્મ-મરણ નોંધણીના તમામ કર્મચારીઓને સન્માનિત કરાયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ